સુરત: સુરત જિલ્લાના ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. જો તેઓ 10 જુલાઈ, 2025 સુધીમાં ‘ફાર્મર રજિસ્ટ્રી’ (ખેડૂત નોંધણી) નહીં કરાવે, તો તેઓ વડાપ્રધાન કિસાન સન્માન નિધિ (PM કિસાન) યોજનાના આગામી હપ્તાથી વંચિત રહી શકે છે. આ ઉપરાંત, ભવિષ્યમાં પણ અન્ય સરકારી કલ્યાણકારી યોજનાઓના લાભથી તેમને દૂર રહેવું પડશે. સુરત જિલ્લામાં 1.55 લાખમાંથી હજુ પણ 38,000 જેટલા ખેડૂતોએ આ ફરજિયાત નોંધણી કરાવી નથી.

કેન્દ્ર સરકાર દ્વારા કૃષિ ક્ષેત્રમાં ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત કરવા માટે ‘ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર – કૃષિ સબબ એગ્રીસ્ટેક પ્રોજેક્ટ’ અમલમાં મુકવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત, તમામ ખેડૂત ખાતેદારો માટે ‘ફાર્મર રજિસ્ટ્રી’ કરાવવી ફરજિયાત બનાવવામાં આવી છે. આ નોંધણીનો મુખ્ય હેતુ કૃષિ અને સંલગ્ન વિભાગો દ્વારા ચાલતી વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ ખેડૂતોને સરળતાથી, પારદર્શક રીતે અને સમયસર પૂરો પાડવાનો છે. આ રજિસ્ટ્રીથી ખેડૂતોની ઓળખ પણ પ્રસ્થાપિત થઈ શકશે અને કૃષિ ધિરાણ, ટેકાના ભાવે ખરીદી જેવી સેવાઓ ઝડપથી મળી શકશે.

ખેડૂતો પોતાની ‘ફાર્મર રજિસ્ટ્રી’ કરાવવા માટે બે મુખ્ય વિકલ્પોનો ઉપયોગ કરી શકે છે..

  1. બહારગામ રહેતા ખેડૂતો https://gjfr.agristack.gov.in/farmer-registry-gj/#/ વેબસાઈટ પર જઈને જાતે નોંધણી કરાવી શકે છે.
  2. કોમન સર્વિસ સેન્ટર (CSC): કોઈપણ નજીકના CSC (કોમ્પ્યુટર સહાયતા કેન્દ્ર) પર જઈને પણ ખેડૂતો ફાર્મર રજિસ્ટ્રી કરાવી શકે છે.

નોંધ:નોંધણી કરાવતી વખતે, ખેડૂતોએ પોતાનું આધાર કાર્ડ, જમીનના ઉતારાની નકલ (8-અ વિગત સહિત), અને આધાર કાર્ડ સાથે લિંક હોય તેવો અથવા અન્ય કોઈ મોબાઈલ નંબર સાથે રાખવો ફરજિયાત છે. ફક્ત વિગતો માટે દસ્તાવેજો બતાવવાના હોય છે.