સુરત: સુરતમાં બે યુવકોના પટકાવાથી મોત નીપજ્યા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. વેડરોડ વિસ્તારમાં ઘરમાં પાણી પડતું હોવાથી 45 વર્ષીય યુવક છાપરા પર ચડી તાડપત્રી બાંધતા નીચે પટકાયો હતો. જેને હોસ્પિટલ ખસેડતા ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જ્યારે સચિન પાલી ગામ ખાતે રહેતો 44 વર્ષીય યુવક પહેલા માળે ગેલેરીમાં પાળી પર બેસીને મોબાઇલમાં વાત કરતા સમયે નીચે પટકાતા મોત નીપજ્યું હતું.
Decision News ને મળેલી માહિતી મુજબ વેડ રોડ ખાતે આવેલા હોડી બંગલા ખાતે 45 વર્ષીય શંકર ઠાકોરભાઈ રાઠોડ પરિવાર સાથે રહેતા હતા. પરિવારમાં એક દીકરી અને એક દીકરો છે. શંકરભાઈ મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ગતરોજ સાંજે ભારે વરસાદના પગલે ઘરમાં પાણી ટપકી રહ્યું હતું. જેથી છાપરા પર ચડીને શંકરભાઈ તાડપત્રી બાંધી રહ્યા હતા. દરમિયાન તેમનો પગ સ્લીપ થતા 10 ફૂટથી નીચે પટકાયા હતા. ઘટનાના પગલે શંકરભાઈને તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
મૂળ ઉત્તરપ્રદેશ અને સચિનના પાલી ગામ ખાતે આવેલી ચામુંડા સોસાયટીમાં 44 વર્ષીય રામચંદ્ર શિવ પ્યારે તિવારી પરિવાર સાથે રહેતો હતો. પરિવારમાં એક દીકરો અને બે દીકરી છે. રામચંદ્ર મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. ગઈકાલે યુવક પહેલા માળે ઘરની ગેલેરીમાં પાળી પર બેસીને મોબાઇલમાં વાત કરી રહ્યો હતો તે દરમિયાન અચાનક તે નીચે પટકાયો હતો. જેથી તેને 108 એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેને તબીબે તપાસી મૃત જાહેર કરાયો હતો.

