નવસારી: નવસારી શહેરના જમાલપોર વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા ચાલી રહેલા ડ્રેનેજના કામમાં ગંભીર બેદરકારી સામે આવી છે. સેવન ઇલેવન પેટ્રોલ પંપ નજીક એક રાજસ્થાની પરિવારની અર્ટિગા કાર કાદવમાં ફસાઈ ગઈ હતી.
કોન્ટ્રાક્ટર દ્વારા મોટા નાળા નાખવામાં આવ્યા છે. પરંતુ માટીનું યોગ્ય પુરાણ ન થવાને કારણે વાહનો કીચડમાં ફસાઈ રહ્યા છે. આ રોડ પરથી દરરોજ હજારો વાહનો પસાર થાય છે. રોડના કિનારે ચાલી રહેલા કામને કારણે વાહનચાલકોને મુશ્કેલી પડી રહી છે.
નવસારી નગરપાલિકાના પૂર્વ નગર સેવક પ્રશાંત દેસાઈએ જણાવ્યું કે તેઓ દરરોજ 15 જેટલી રજૂઆતો મહાનગરપાલિકા કચેરીમાં કરે છે.આટલી અરજીઓ કરવા છતાં કીચડ દૂર કરવા માટે તંત્ર દ્વારા હાલમાં કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. સ્થાનિક રહીશોએ માંગ કરી છે કે મહાનગરપાલિકા આવા કામોની ગુણવત્તા પર વધુ ધ્યાન આપે. કોન્ટ્રાક્ટરોની કામગીરી પર કડક નિરીક્ષણ રાખવામાં આવે. જો કીચડ ઉપર GSB નાખવામાં આવે તો વાહનચાલકોની મુશ્કેલીઓ ઓછી થઈ શકે તેમ છે.

