વલસાડ: સમસ્ત આદિવાસી સમાજ દ્વારા વલસાડ જિલ્લાના દર ચોમાસામાં ભ્રસ્ટાચારી આર & બી વિભાગના અધિકારીઓની બેદરકારીના પ્રતાપે લાખો રાહદારીઓને દર ચોમાસામાં ભારે યાતના ભોગવવા પડતી હોવા બાબતે કડક કાયદાકીય કાર્યવાહી કરવા મુખ્યમંત્રીને ફરિયાદ કરવામાં આવી હતી.

વલસાડ જિલ્લામાંથી પસાર થતાં હાઇવે દરવર્ષે ચોમાસામાં ખુબ જ ખરાબ ગુણવતાવાળા મટીરીયલ અને નબળી કામગીરીના લીધે થોડા જ વરસાદમાં રસ્તાઓ ખોદાય જાય છે અને સામાન્ય પ્રજા ત્રાહિમામ પોકારી જાય છે. ખરાબ રસ્તાઓને લીધે સામાન્ય વરસાદમા પણ રસ્તાઓ તૂટી જાય છે અને વારંવાર અકસ્માતો થતા હોય છે. અને આ રસ્તાઓ માટે રીપેરીંગના નામ પર મોટું બજેટ વાપરી ખાઈકી કરવામાં આવતી હોય છે. આનાથી સામાન્ય પ્રજા હેરાન થઇ ચુકી છે પરંતુ મોટાભાગની પ્રજા પણ ભ્રસ્ટાચાર સામે અવાજ ઉઠાવવાનું કૌવત ગુમાવી ચુકી છે આથી વલસાડ આર & બી વિભાગને કોઈ ફરક પડતો નથી.

આ બાબતે મીડિયા સાથેની વાતચીતમા સમસ્ત આદિવાસી સમાજ નવસારી જિલ્લા પ્રમુખ ડો.નિરવ ભુલાભાઇ પટેલ જણાવે છે વલસાડ જિલ્લાની પ્રજાનું અને સામાન્ય રાહદારીઓનું ધ્યાન રાખવામાં ભારે માહિર એવા આર & બી વિભાગ દ્વારા પ્રજાને તકલીફ પડે એનું પુરેપુરુ ધ્યાન રાખવામાં આવે છે અને પ્રજાને તકલીફ આપવામાં કોઈ કચાશ બાકી નહીં રહે તેનું પણ સતત ધ્યાન રાખવામાં આવે છે. દર વર્ષે રસ્તાઓના સમારકામના નામ પર લાખો રૂપિયા ખર્ચ કરવામાં આવતા હોય છે અને રસ્તા એટલા મજબૂત બનાવવામાં આવે છે કે જેવો વરસાદ આવે તેવા તરત જ રસ્તાઓ ખાડાઓમાં ખોવાઈ જાય છે અને આજની બેઠાળું જિંદગીમા વાહનચાલકોને ખરાબ રસ્તા બનાવી ઘર જતાં સુધીમાં મફત મસાજ સેવા પણ પૂરી પાડવામાં આવે છે. અને ટાયર પંચરથી લઈને ટાયર બનાવવાવાળી કંપનીઓને અને કમરના દુખાવા સહિત અન્ય શારીરિક તકલીફો માટે અમારા જેવા તબિબોને પણ આવક મળી રહે અને વાહનો બગડે તો મેકેનિકને પણ આવક મળી રાહે એની પણ ચિંતા કરવામાં આવે છે.

આ જોઈને મને એક કહેવત યાદ આવે છે જયારે વેઠ્યાને વાડ બનાવવાનું કામ સોંપવામાં આવે છે ત્યારે વેઠ્યો વાડ બનાવીને આવે પાછો આવે ત્યારે એનો માલિક એને પૂછે છે કે વેઠ્યા વાડ કેવી બનાવી તો વેઠ્યો સુંદર જવાબ આપે છે કે શેઠ પવન આવે તો ઉડી જાય તેવી. બિલકુલ આ જ કહેવત બધાના સુખરૂપ ચાલે એની ચિંતા કરતા આપણા માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રદાદાજી જેઓ આ કહેવતમાં શેઠની ભૂમિકામા છે અને તેઓ પ્રજાની ચિંતા કરતા બધા રોડ બરાબર બની ગયા કે એવું પૂછે છે અને આર&બી વિભાગ જે વેઠ્યાની ભૂમિકામા છે તે કહે છે કે હા સાહેબ બની ગયા છે. (પણ રસ્તા કેવા બનાવ્યા તો આર & બી વિભાગ દ્વારા લોકોને કહેવામાં આવે છે કે શેઠ વરસાદ આવે તો ખાડાઓમાં ખોવાઈ એવો રસ્તો બનાવવામાં આવ્યો છે.) રસ્તાઓની ગુણવતાનું ધ્યાન રાખવા બનાવેલ ગેરી વિભાગ પણ વલસાડ જિલ્લામાં એસી ઓફિસમા બેસીને જ કામગીરી કરવા ટેવાયેલું હોય છે એવું સ્પષ્ટ જણાય આવે છે. દરવર્ષે રીનોવેશનના નામ પર પ્રજાને હકની સુવિધાઓ મેળવવા પાત્ર ગ્રાન્ટની સારી એવી રકમનો વેડફાટ કરવામા આવે છે અને પ્રજાના નસીબમાં ચોમાસામા માત્ર હેરાન થવાનું જ આવતું હોય છે.

જિલ્લા કલેકટર દ્વારા ડિસ્ટ્રિક્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઑથોરિટીના અધ્યક્ષ તરીકે અને જિલ્લા પોલિસ અધિકારીઓએ મોટર વેહિકલ અમેન્ડમેન્ટ એક્ટ-2019 ની કલમ 198 તેમજ બીએનએસની વિવિધ કલમો તેમજ પોતાની ફરજ પર બેદરકારી અંતર્ગત પોતાના ખિસ્સા ભરવાના બદઇરાદે નબળી ગુણવતાવાળા રસ્તાઓ બનાવી લાખો રાહદારીઓની જિંદગી સાથે ચેડાં કરતા રોડ વિભાગના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો વિરુદ્ધ એફઆઇઆર કરી ઉદાહરણીયરૂપ પગલાંઓ લેવા જોઈએ જેથી કરીને ભવિષ્યમા કોઈ ભ્રસ્ટાચારીઓ પ્રજાના હકના રૂપિયા ખાવાની હિંમત નહીં કરે પરંતુ રોડ બાબતે સરકારી કચેરીઓમાં કોઈપણ રજૂઆતો કર્યે તો માત્ર પત્રવ્યવહાર કરવા સિવાય કોઈ નોંધપાત્ર કામગીરી દેખાતી નહીં હોવાથી વલસાડમાં ભ્રસ્ટાચારીઓ ફાટીને ધુમાડે ગયા છે અન્યથા નવસારીમાં વરસાદમાં પણ મોટાભાગના રસ્તાઓ અકબંધ રહેતા હોય તો એટલા જ વરસાદમાં વલસાડના રસ્તાઓ જ કેમ ખોદાઈ જાય છે એ પ્રશ્ન મોટાભાગના નાગરિકો ઉઠાવી રહ્યા છે.

મજેદાર વાત તો એ છે કે અમારા જેવા યુવાનો જયારે સિસ્ટમની ખરાબ કામગીરી સામે આંદોલનો કર્યે છીએ ત્યારે અમારા પર ડિટેઇન કરવાથી લઈને ખોટા કેસો કરવાની તમામ પ્રકારની કામગીરીઓ કરવામાં આવતી હોય છે પરંતુ લાખો રાહદારીઓની જિંદગી સાથે ખિલવાડ કરતા આર & બી વિભાગના કર્મચારીઓ અને કોન્ટ્રાકટરો સામે કાર્યવાહી કરવામાં આજ પોલિસ અને તંત્ર કેમ પાછું પડે છે તે સામાન્ય લોકોના મનમાં ઉઠતો મોટો પ્રશ્ન બની ચુક્યો છે.અમારી રાજયના મુખ્યમંત્રી અને વલસાડ જિલ્લા કલેકટર અને પોલિસ અધિક્ષકને રજૂઆત છે કે દરવર્ષે લાખો સામાન્ય પ્રજાજનોની હેરાનગતિનું કારણ બનતા ભ્રસ્ટાચારી આર & બી વિભાગના કર્મચારીઓ અને કોન્ટ્રાકટરો સામે કડકમાં કડક કાયદાકીય પગલાંઓ ઉઠાવવામાં આવે અન્યથા થોડા સમય પછી સામાન્ય જનોની સમસ્યાઓના નિરાકરણ માટે જનઆંદોલન કરવામાં આવશે અને એના લીધે જે કઈ અવ્યવસ્થા સર્જાશે તેના માટે જવાબદાર માત્ર અને માત્ર ભ્રસ્ટાચારનો પર્યાય બની ચૂકેલ વલસાડ જિલ્લાનું આર & બી વિભાગ જ રહેશે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here