ખેરગામ: સમસ્ત આદિવાસી સમાજ નવસારી જિલ્લા પ્રમુખ ડો નીરવ પટેલ દ્વારા ખેરગામ બજારમાં ભારે વાહનોને લીધે થતી ટ્રાફિકની સમસ્યા નિવારવા ભારે વાહનોને બજારની બહારથી ડાયવર્ટ કરવા ખેરગામ મામલતદારને અરજી આપી માંગ કરી હતી.
ખેરગામની આસપાસના રહેવાસીઓએ ખેરગામ મામલતદારને આપેલી અરજીમા જણાવ્યા અનુસાર ખેરગામ શ્રીજી હોટલ અને વ્હોરા સમાજની મસ્જિદ આ બે ભયંકર સાંકડા પોઇન્ટ પાસેથી પસાર થતાં ભારે વાહનોના લીધે વાહનોની લાંબી લાઈનો લાગી જતી હોવાના લીધે કેટલીયવાર મોટા વાહનો-નાના વાહનો દુકાનોમા અડી જતાં હોય છે જેના લીધે નુકસાન થતાં મારામારી પણ થતી હોય છે અને રાહદારીઓને આર્થિક નુકસાન પણ થતું હોય છે અને આ ટાળી શકાય એવા બિનજરૂરી ટ્રાફિકને લીધે એટલા વિસ્તારમાં વાયુ પ્રદુષણ અને ધ્વનિ પ્રદુષણ પણ ભારે માત્રામા ફેલાતું હોય છે.અને ટ્રાફિક મેનેજ કરવા માટે મુકાયેલા ટ્રાફિક પોલીસની હાલત પણ કફોડી થતી હોય છે.
આ બાબતે ડો.નિરવ ભુલાભાઇ પટેલે મીડિયા સાથેની વાતચીતમા જણાવેલ કે ભૂતકાળમાં પણ બસડ્રાઇવરો દ્વારા પણ આ બાબતે વિવિધ કક્ષાએ રજૂઆત કરવામાં આવી ચુકી છે પરંતુ કેટલાંક ગણ્યાગાંઠ્યા લોકો પોતાના અંગત લાભ અને સ્વાર્થ માટે વિરોધ કરી સામાન્ય લોકોની સુખશાંતિ હણી રહેલા જણાય આવે છે.આથી અમે તાલુકા મામલતદારશ્રીને તાલુકા મેજિસ્ટ્રેટ તરીકે મળેલ સત્તાની રુએ ખેરગામ બજારમાં વ્યવસ્થા જળવાયેલી રહે બજારમાંથી મોટી બસ સહિતના ભારે વાહનો પસાર થવા દેવાના બદલે જનતા હાઈસ્કૂલથી સીધા પોસ્ટ ઓફિસ અથવા દશેરા ટેકરી તરફ જ ડાયવર્ટ કરી દેવામાં આવે તો સામાન્ય રાહદારીઓ અને સ્થાનિક લોકોને ઘણી રાહત થાય એમ છે એવી માંગણી કરેલ છે.આશા રાખું છું કે આ બાબતે મામલતદારશ્રી દ્વારા નિયમોનુસાર યોગ્ય કાયદાકીય કાર્યવાહી કરીને સામાન્ય જનતાની હાલાકી દૂર કરવામાં મદદરૂપ થશે.

