વાંસદા: 15 વર્ષ પહેલાં વાંસદા તાલુકાના નવા ફળિયા વિસ્તારમાં વન અને પર્યાવરણ મંત્રી મંગુભાઈના હસ્તે આંગણવાડી-9 નું નવા મકાન માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, પણ આજ દિન સુધી આ આંગણવાડીનું મકાન ન બનતાં બાળકો ઓટલે બેસી ભણવા મજબૂર બન્યા છે.
વાંસદા તાલુકાના નવા ફળિયા વિસ્તારમાં આવેલી આંગણવાડી-9માં અંદાજિત 15 ભૂલકાઓ અભ્યાસ કરી રહ્યાં છે. આ બાળકો માટે વન અને પર્યાવરણ મંત્રી મંગુભાઈ પટેલના હસ્તે 15 વર્ષ પહેલા ભાજપના કાર્યકર્તાઓ અને ગ્રામજનોની હાજરીમાં આંગણવાડીના નવા મકાન માટે ખાતમુહૂર્ત કર્યું હતું પરંતુ આજદિન સુધી આ આંગણવાડી-9ના નવા મકાન માટે કોઈ પ્રકારની કામગીરી કરવામાં આવી નથી આજે પણ આંગણવાડી વાલી બહેનો બાળકોને ઓટલે બેસી ભણાવી રહ્યા હોવાના દ્રશ્યો તમે જોઈ શકો છો.
વાંસદા તાલુકામાં વર્તમાન સમયમાં જોઈએ તો ગામે ગામ આધુનિક આંગણવાડીના મકાનો બની ગયા છે જ્યારે વાંસદા તાલુકાનું સેન્ટર હોવા છતાં ભૂલકાઓ ઓટલા ઉપર ભણવા મજબૂર રહે એ યોગ્ય ન જ ગણાય ત્યારે અહીં આંગણવાડીનું મકાન ઝડપથી બને એવી આ વિસ્તારના લોકમાંગ છે.

