નવસારી: નવસારી, 1 મે (હિ.સ.) નવસારી, જલાલપોર તાલુકાના અરજદારોની સરળતા અને સુવિધા માટે નવસારી જિલ્લા વહીવટી તંત્રએ કાલીયાવાડી સ્થિત નવસારી પ્રાંત કચેરીના ગ્રાઉન્ડ ફ્લોર ખાતે જલાલપોર તાલુકાના મોડેલ જનસેવા કેન્દ્રને પ્રાંત અધિકારી ડો જનમ ઠાકોરએ ખૂલ્લું મૂક્યું હતું. જલાલપોર તાલુકાના મોડલ જનસેવા કેન્દ્રમાં અરજદારો માટે ટોકન સિસ્ટમ, સુવિધાયુક્ત બેઠક વ્યવસ્થા, દિવ્યાંગો માટે રેમ્પ તથા વ્હીલચેર, પીવાના પાણીના કુલર તથા આર.ઓ. સિસ્ટમ, સ્ત્રી અને પુરુષ માટે અલાયદા ટોયલેટ, લાઈટ તથા પંખાની વ્યવસ્થા, નાગરીક સેવાઓ સંબંધિત માર્ગદર્શિકા અને સાઇન બોર્ડ્સ ઉપલબ્ધ કરવામાં આવેલ છે.

Decision News ને મળેલી માહિતી અનુસાર મોડેલ જનસેવા કેન્દ્ર કાર્યરત થવાથી પ્રજાની રોજબરોજની સગવડ તેમજ સુખાકારીને સ્પર્શતી સેવાઓ જેમકે, રેશનકાર્ડ તથા આધાર કાર્ડ સંબંધિત સેવાઓ, આવક પ્રમાણપત્ર, સિનીયર સીટીઝન પ્રમાણપત્ર, જાતિ અંગેનું પ્રમાણપત્ર, નોન ક્રિમિલેયર સર્ટિફિકેટ, વિગેરે જેવી સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં સરળતા ઉભી થશે.જલાલપોર તાલુકાના મોડેલ જનસેવા કેન્દ્ર ખાતે નાયબ મામલતદાર, ક્લાર્ક, તથા ડેટા એન્ટ્રી ઓપરેટરોની ટીમને નાગરિકોની સેવા પૂરી પાડવામાં સરળતા રહે તે માટે અલાયદી બેઠક વ્યવસ્થા, ફર્નીચર તથા પ્રીન્ટર તથા કેમેરા સાથેના લેટેસ્ટ કોમ્પ્યુટર સેટ તથા ટોકન મશીન સુવિધાથી સુસજ્જ કરવામાં આવેલ છે સરકારની “વન ડે સર્વિસ” પહેલ હેઠળ જનસેવા કેન્દ્ર ખાતેથી ઉપલબ્ધ કરાવવામાં આવતી સેવાઓ એક જ દિવસમાં પૂરી પાડવાની નેમ હોય ત્યારે જલાલપોર આધુનિક મોડલ જનસેવા કેન્દ્રથી લોકોની સુવિધામાં ઘણો સુધાર થશે.

આ શુભારંભ પ્રસંગે જલાલપોર તાલુકાના પરૂજણ ગામના અરજદાર જયેશભાઈ પટેલને ખુબજ ઝડપી જાતિના આવકના દાખલો મળતા તથા નવા જનસુવિધા કેન્દ્રની સુગમ વ્યવસ્થાથી ખુબ પ્રભાવિત થયા હતા અને સરકારશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે જલાલપોર તાલુકાના મામલતદાર એમ.જી.ઇસરાણી, વહીવટીતંત્રના કર્મચારી તથા જલાલપોર તાલુકાના નાગરીકો ઉપસ્થિત રહ્યા હતા.