નવસારી: નવસારી શહેરમાં લુન્સીકૂઈ વિસ્તારમાં આવેલ મુખ્ય પાણીની લાઇન અચાનક તૂટી જતા શહેરના અડધા વિસ્તારમાં પાણીનું વિતરણ મોડી સાંજ સુધી કરવામાં આવ્યું ન હતું. પાણીની લાઇન રિપેર કરવામાં આવતા પહેલા પાણીની ટાંકી ભરવાની હોય રાત્રિના 10 વાગ્યા બાદ પાણીનું વિતરણ કરાશે.
Decision News ને મળેલી જાણકારી મુજબ નવસારીના લુન્સીકૂઇ વિસ્તારમાં પાણીની ટાંકી આવેલી છે. જ્યાંથી આ પાણી દશેરા ટેકરીના અમુક વિસ્તાર સહિત આજુબાજુ આવેલ સોસાયટી, દરગાહ રોડ સહિતના વિસ્તારમાં પાણી વિતરણ થાય છે. આ પાણી ની લાઇન અચાનક તૂટી જતા નવસારી મહાપાલિકાના વોટર વર્કસ વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે પાણીની લાઇન રિપેર કરવામાં આવી હતી. જેને લઇ બપોર બાદ પાણીનો પુરવઠો આશરે નવસારીના કેટલાક વિસ્તારોમાં વિતરણ કરવામાં આવ્યું ન હતું.
સાંજે પાણીની લાઇન રિપેર કરવામાં આવતા પહેલા પાણીની ટાંકી ભરશે ત્યારબાદ રાત્રે વિતરણ કરવામાં આવશે તેમ સૂત્રોએ માહિતી આપતા જણાવ્યું હતું. નવસારી મહાપાલિકા દ્વારા નગરજનોને પાણીની લાઇન તૂટી જતા રીપેર થયા બાદ વિતરણ થશે તેમ જાહેર અપીલ પણ કરી હતી.

