વલસાડ: વલસાડ તાલુકા પટેલ સમાજ પ્રમુખ મંડળ દ્વારા સુવર્ણ જયંતિ વર્ષની ઉજવણી અંતર્ગત આગામી 20 એપ્રિલ 2025ના રોજ નવમો સર્વજ્ઞાતિ સમૂહલગ્ન સમારોહ યોજાશે. આ પ્રસંગે 121 યુગલોને શેરવાની અને પાનેતરનું વિતરણ કરવામાં આવ્યું છે.
Decision News ને મળેલી માહિતી અનુસાર વલસાડના ધારાસભ્ય અને સમાજના પ્રમુખ ભરતભાઈ પટેલે જણાવ્યું કે અત્યાર સુધીના આઠ સમૂહલગ્નમાં 1081 કન્યાઓના લગ્ન સફળતાપૂર્વક સંપન્ન થયા છે. નવમા સમૂહલગ્નમાં જોડાનાર દરેક યુગલને કરિયાવરમાં રસોડાનો સંપૂર્ણ સામાન, વરને શેરવાની અને કન્યાને પાનેતર તેમજ મંગળસૂત્ર આપવામાં આવશે.
સમાજના ઉપપ્રમુખ શશીભાઈ પટેલે સરકારી યોજનાઓની માહિતી આપી હતી. કુંવરબાઈનું મામેરું અને સાતફેરા યોજના અંતર્ગત દરેક યુગલને કુલ રૂ. 24 હજારની સહાય મળે છે. વધુમાં, આંતરજ્ઞાતિય લગ્ન કરનાર અનુસૂચિત જાતિના યુવક-યુવતીને સરકાર તરફથી રૂ. 2.50 લાખની સહાય મળે છે. સમાજ કલ્યાણ વિભાગના કીર્તેશભાઈએ ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા સમજાવી હતી. કાર્યક્રમમાં સમાજના મંત્રી રામભાઈ પટેલ, કારોબારી સભ્યો અને મહિલા સભ્યો સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

