વલસાડ: ગતરોજ વલસાડ જિલ્લામાં વધતા જતા રોડ અકસ્માતોને રોકવા માટે પોલીસ વિભાગે મહત્વપૂર્ણ પગલું લીધું છે. વલસાડ એસપી ડૉ. કરનરાજ વાઘેલાના અધ્યક્ષસ્થાને વાપી ટ્રાન્સપોર્ટર એસોસિએશન સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.
Decision News ને મળેલી માહિતી અનુસાર એસપી વાઘેલાએ જણાવ્યું કે વર્ષ 2024માં વલસાડ જિલ્લામાં 280 રોડ અકસ્માતોમાં 290થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. NH-48 પર રાજ્યના સૌથી વધુ અકસ્માતો વલસાડ જિલ્લામાં નોંધાયા છે. આ ચિંતાજનક સ્થિતિને ધ્યાનમાં રાખીને 31 માર્ચથી લેન ડ્રાઇવિંગના નિયમોનું કડક અમલીકરણ કરવામાં આવશે.
વાપી GIDCમાં દરરોજ લગભગ 7,000 ટ્રક સહિતના વાહનોની અવરજવર થાય છે. વાપીમાં 2,500થી વધુ ટ્રાન્સપોર્ટરોની ઓફિસ આવેલી છે. રાજ્ય પોલીસ વિભાગના સર્વે મુજબ, હાઈવે પર લેન ડ્રાઇવિંગના નિયમોના ભંગથી અકસ્માતો થાય છે.

