ગાંધીનગર: લોકનેતા અનંત પટેલે ગુજરાતની 15 મી વિધાનસભાના ચોથા સત્રમાં સવાલ ઉઠાવતા કહ્યું કે ગામડામાં આપતાં આવાસો માટે ૧,૨૦,૦૦૦ અને શહેર માટે ૩,૫૦,૦૦૦ સહાય, શહેરી આવાસો અને ગ્રામીણ આવાસોની રકમ ફાળવવામાં સરકાર દ્વારા ફર્ક કેમ કરવામાં આવે છે ? વાંસદા ચીખલીના ધારાસભ્ય અનંત પટેલે જણાવ્યું હતું કે, પંડિત દીનદયાળ આવાસ, હળપતિ આવાસ, ગ્રામીણ અને અદિમજૂથ આવાસ મળે છે. તમામે આવાસો ખૂબ જ જરૂરિયાતમંદ લોકોને મળે છે.

એક દેશ, શ્રેષ્ઠ દેશની વાતો કરતી સરકાર દ્વારા આવાસ બાબતમાં જુદી જુદી વાતો કરવામાં આવી છે. અમારા વિસ્તારમાં રહેતા સામાજિક શૈક્ષણિક પછાત, ઓ.બી.સી. સમાજ, મુસ્લિમ સમાજના લોકોને પંડિત દીનદયાળ આવાસ યોજનામાં આવાસો મળતા નથી, તેમજ પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) શહેરોમાં એની રકમમાં અને પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) ગામોની રકમમાં જમીન આસમાનનો ફરક છે. પ્રધાનમંત્રી આવાસો શહેરોમાં હોય તો ૩,૫૦,૦૦૦/- અને પ્રધાનમંત્રી આવાસો ગામડામાં હોય તો ૧,૨૦,૦૦૦/- અને મનરેગાની મજૂરી તરીકે ૨૦,૦૦૦/- તથા શૌચાલયના ૧૨,૦૦૦/- બાથરૂમના ૫૦૦૦/- એમ રૂપિયા મળતા હોય છે ત્યારે શહેરોમાં પણ સિમેન્ટના ભાવ, ઈંટના તેમજ રેતીની કિંમત સરખી હોવા છતાં ગ્રામીણ આવાસો અને શહેરી અવસોની રકમમાં ખૂબ જ મોટો ફરક પડે છે. હાલમાં જન મન કાર્યક્રમ હેઠળ અદિમજૂથના લોકોને આવાસ આપવાની જાહેરાત કરવા છતાં મારા મતવિસ્તારના ચીખલી તાલુકામાં માત્ર ૧૪ આવાસ, વાંસદા તાલુકામાં માત્ર ૨૩ આવાસો મંજુર કરવામાં આવ્યા હતા. આ અદિમજૂથના લોકો મુખ્યત્વે ખેતમજુર છે, એઓની પાસે જમીન નથી હોતી ત્યારે અધિકારીઓ ૭-૧૨ અને ૮-અ નું પત્રક માંગે છે અને પત્ર ન હોવાના કારણે તેઓને આવાસ મંજુર કરવામાં આવતું નથી તો એઓ માટે ગૌચરની જમીન કે પડતર સરકારી જમીનો પર આવાસની મંજૂરી આપવામાં આવે. આ વિગતો રાજ્યપાલના પ્રવચનમાં ન હોવાના કારણે આભાર પ્રસ્તાવને ટેકો વાંસદા ચીખલીના ધારાસભ્યએ આપ્યો ન હતો.