વલસાડ: છેલ્લા કેટલાય સમયથી વલસાડ જિલ્લાના રસ્તાઓ એટલી હદે બિસ્માર બન્યા છે કે માર્ગ વિભાગની અણધડ કામગીરીથી પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે. ત્યારે આ સમસ્યા વિશે વારંવાર રજુવાતો છતાં વલસાડ પ્રશાસન દ્વારા કોઈ કામગીરી ના થતા વિગતે જાણકારી મેળવવા ખેરગામના જાણીતાં સર્જન દ્વારા RTI થી માહિતી માંગવામાં આવી છે.

Decision News ને મળેલી વિગતો મુજબ નવસારી જિલ્લા સમસ્ત આદિવાસી સમાજ પ્રમુખ અને ખેરગામના જાણીતાં સર્જન ડો.નિરવ ભુલાભાઇ પટેલે જિલ્લા માર્ગ અને બાંધકામ વિભાગ પાસે છેલ્લા 3 વર્ષની કામગીરીની વિવિધ માહિતીઓ જાહેર માહિતી અધિકાર અધિનિયમ-2005 અંતર્ગત માંગી છે. આ બાબતે મીડિયા સાથેની વાતચીતમાં ડો.નિરવ પટેલે જણાવ્યું કે છેલ્લા કેટલાય સમયથી જિલ્લા પ્રશાશનને બિસ્માર બનેલા રોડના સમારકામ માટે વિનંતી કરવામાં આવી ચુકી છે. આ બાબતે સામાજિક આગેવાન તરીકે અનેક લોકો અને દર્દીઓ અમારી પાસે આવીને રજૂઆત કરી રહ્યા છે કે આ ખરાબ રસ્તાઓનું કંઈક કરાવો, અમારી હાલત ખરાબ થઇ ગઈ છે. અને કેટલાય લોકો પોતાનો જીવ પણ ગુમાવી ચુક્યા છે.તો પણ આ નફ્ફટ તંત્રના પેટનું પાણી હાલતુ નથી. હાલમાં જ થોડા દિવસ પહેલા ધરમપુર ખાતે એક મહિલાનું મૃત્યુ થતાં ધરમપુરના સામાજિક આગેવાન કલ્પેશ પટેલે આર એન્ડ બી વિભાગના અધિકારીને ફોન કરતા, મહિલા અધિકારીએ અમારે એક જ રોડના કામ નથી હોતા એવો ઉદ્દત જવાબ આપતાં લોકોમાં આક્રોશ ફેલાયો છે.

વલસાડ જિલ્લામાંથી છુટા પડેલા નવસારી જિલ્લામાં મોટાભાગના રસ્તાઓ આજે વલસાડ જિલ્લાની સરખામણીમાં ઘણી સારી પરિસ્થિતિમાં છે. આથી અમારા સંગઠને ક્યા કારણથી માર્ગ વિભાગના અધિકારીઓ સારા રોડ બનાવવામાં ઠાગા થૈયા કરતા આવેલા છે તે જાણવા માટે RTI થી તંત્ર પાસે માહિતી માંગી છે. તંત્ર શું જવાબ આપે છે એ અમે રાહ જોઈશું અને જો ટૂંક સમયમાં રસ્તાઓનું યોગ્ય સમારકામ નહીં કરવામાં આવે તો પ્રજાની સુખાકારી માટે ઉગ્ર જનઆંદોલનની ચીમકી આપવામાં આવી છે.