વલસાડ: વલસાડ પત્રકાર વેલ્ફેર એસોસિએશન દ્વારા આગામી તા.11 જૂન 2023 ના રોજ ગુજરાત સરકારના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સમંત્રીશ્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને વલસાડના મોરારજી દેસાઈ ઓડિટોરિયમમાં મીડિયા એવોર્ડ વિતરણ સમારોહ યોજાશે.
Decision News ને પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ સાડ શહેરના પત્રકારો દ્વારા ચાલતી અને સેવાકીય પ્રવૃતિઓ કરતી સંસ્થા પત્રકાર વેલ્ફેર એસોસિએશન વલસાડ દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી મીડિયા એવોર્ડ પ્રતિયોગિતા યોજવામાં આવે છે. પત્રકારોને પ્રોત્સાહન આપવાના હેતુથી યોજાતી આ પ્રતિયોગિતામાં વલસાડ જિલ્લાના પત્રકારો પાસેથી ન્યુઝ સ્ટોરીઓ મંગાવી મીડિયાક્ષેત્ર સાથે સંકળાયેલા વિદ્વાન જજો દ્વારા જુદી જુદી કેટેગરીઓમાં સ્ટોરીઓ સિલેક્ટ કરી વિજેતા નક્કી કરવામાં આવે છે. વર્ષ 2022 દરમિયાન પ્રિન્ટ મીડિયામાં છપાયેલી કે ઇલેક્ટ્રોનિક મીડિયામાં પ્રસારિત થયેલી સ્ટોરીઓ એસો. દ્વારા મંગાવવામાં આવી હતી. જેનો તા. ૧૧.૦૬.૨૩ ના રોજ સવારે ૧૧ કલાકે વલસાડ એસ. ટી. ડેપો સામે આવેલા મોરારજી દેસાઈ ઓડિટોરિયમ ખાતે એવોર્ડ સમારોહ યોજવામાં આવશે.
આ કાર્યક્રમના પ્રોજેક્ટ ચેરમેન અપૂર્વ પારેખના જણાવ્યાં મુજબ, આ સમારોહમાં વલસાડ જિલ્લામાં સેવા, સાહિત્ય, સ્પોર્ટ્સ, આર્ટ સહિતના ક્ષેત્રમાં વિશિષ્ટ સિદ્ધિ મેળવનારા વ્યક્તિ વિશેષના સન્માન પણ કરવામાં આવશે. આ સમારંભમાં ગુજરાત સરકારના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ તથા લેખક અને પ્રખર વક્તા એવા નવગુજરાત સમય અને અહમદાબાદ મિરરના ગ્રુપ એડિટર અજય ઉમટ અને ગુજરાત મીડિયા ક્લબના પ્રમુખ અને ઇન્ડિયા ટીવીના એસોસિએટ એડિટર નિર્ણય કપૂર મુખ્ય મહેમાન પદે ઉપસ્થિત રહેશે. પત્રકારોને પ્રોત્સાહન આપવાના હેતુથી યોજાતા મીડિયાના આ કાર્યક્રમમાં વલસાડ, નવસારી જિલ્લા, સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણના તમામ પત્રકારોને ઉપસ્થિત રહેવા પત્રકાર વેલ્ફેર એસોસિયેશન વલસાડના પ્રમુખ હર્ષદ આહીરે અનુરોધ કર્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ઉપપ્રમુખ હસીન શેખ, સેક્રેટરી મુકેશ દેસાઈ, જોઈન્ટ સેક્રેટરી વિજય યાદવ, ખજાનચી દિપક આહિર, બ્રિજેશ શાહ, નિમેષ પટેલ, પૂન્યપાલ શાહ, ચેતન મહેતા, મેહુલ પટેલ, આઝાદ મિશ્રા, પ્રેમ માલાણી, અક્ષય કદમ, આઝાદ રાઠોડ, પ્રિયાંક પટેલ, નિરવ પિત્રોડા, તરુણ નાયક સહિતના તમામ સભ્યો જહેમત ઉઠાવી રહ્યાં છે.











