ચીખલી: વર્તમાનમાં ચીખલી તાલુકાના હરણગામમાં આવાસના બાંધકામમાં મિની પ્લાન્ટની ગુણવત્તા વિહિન સિમેન્ટ અને ડસ્ટનો ઉપયોગ કરી નકરી વેઠ ઉતારવામાં આવતા બાંધકામ પૂર્ણ થાય તે પહેલાં જ દિવાલોમાં તિરાડ પડી ગયાના દ્રશ્યો સામે આવ્યા છે.
જુઓ વિડીયો..
Decision News ને મળેલી માહિતી મુજબ હરણગામના હોળીમોરા વિસ્તારમાં લંબાત ફળિયાના હલ્પતિવાસમાં હાલ 18 આવાસોનું બાંધકામ ચાલી રહ્યુ છે. આ શ્રમજીવી પરિવારોના આવાસોના બાંધકામમાં ઇજારદાર દ્વારા નકરી વેઠ ઉતારવામાં આવી રહી છે. હાલ મોટાભાગે આવાસોના બાંધકામ પ્રગતિ હેઠળ છે અને છત લેવલ છે પરંતુ આ આવાસોનું બાંધકામ પાયાથી જ તકલાદી કરાતા કેટલાક આવાસોની દિવાલમાં તિરાડ પડી ગઈ છે. લાભાર્થીઓના જણાવ્યા અનુસાર માંડ દોઢ બે ફૂટ ખાડા ખોદી આ દોઢ બે ફૂટના ફૂટિંગ ઉપર બીમ નાંખી ચણતર કરી દેવાયું હતું. આ બાંધકામમાં રેતીના સ્થાને પથ્થરનું ડસ્ટ અને સિમેન્ટ સ્થાનિક વિસ્તારની મિની પ્લાન્ટનો ઉપયોગ કરાતા બાંધકામ એકદમ તકલાદી થયું છે. બાંધકામમાં ગુણવત્તા વિહિન માલ સામાનના ઉપયોગના કારણે હજુ આવાસોનું બાંધકામ પૂર્ણ થયું નથી. તે પહેલાં જ શુક્કરભાઈ ભગુભાઈ હળપતિ અને નયનાબેન નીશાભાઈ હળપતિ આવાસોની દિવાલમાં તિરાડ પડી ગઈ છે. પાયાથી જ કામ નબળું હોવા સાથે ગુણવત્તા વિહિન માલ સામાનના કારણે આ પ્રકારની સ્થિતિ સર્જાઈ છે.
શ્રમજીવી પરિવારોના આવાસોના બાંધકામમાં ગોબાચારીની ગેરરીતિ અપનાવતા ટૂંકાગાળામાં જ આવાસો બિનઉપયોગી થઈ જતાં હોય છે. બીજી તરફ એકવાર આવાસ મંજૂર થયા બાદ સરકારના નિયમ મુજબ વર્ષો સુધી ફરી આવાસનો લાભ મળતો નથી. આવાસના હપ્તાની રકમ આમ તો લાભાર્થીઓના બેંક ખાતામાં સીધી જમા કરાવાતી હોય છે પરંતુ સ્થાનિક કારભારીઓ સોંપી દ્વારા કોન્ટ્રાકટરને બાંધકામની કામગીરી સોંપી લાભાર્થીઓ પાસેથી રકમ ઉપાડી લેવામાં આવતી હોય છે. બાદમાં બાંધકામમાં વેઠ ઉતારી ગેરરીતિ આચરી તકલાદી કામ કરાતું હોય છે. સંબંધિત તંત્ર દ્વારા સમગ્ર મામલે તટસ્થ તપાસ કરાવાય તે જરૂરી છે.

