વાંસદા: ગતરોજ વાંસદાના ચાંપલધરા ગામમાં સરકારી આર્યુવેદીક દવાખાનું અને આંગણવાડીનું બાંધકામની જગ્યાના વિવાદમાં TDO સ્થળ નિરીક્ષણ કરવા આવતાં જ બે ફળિયાના રહીશો વચ્ચે ઝઘડો ઉભો થઇ જતાં પોલીસની મદદ લેવાની ફરજ પડી ગયાનો કિસ્સો બહાર આવ્યો છે.

Decision News ને મળેલી માહિતી મુજબ વાંસદાના ચાંપલધરાના કોળીવાડ ફળિયામાં સરકારી આર્યુવેદીક દવાખાનાનું જૂનું મકાન તોડી નવા મકાન માટેની બાંધકામ ચાલુ કરવા પહેલા જ વિરોધનો વંટોળ ઉભો થયો છે. ચાંપલધરા ગામના એક ફળિયાના રહીશો એવું કહી રહ્યા છે કે ‘જ્યાં પહેલા દવાખાનું હતું ત્યાં જ નવું દવાખાનું બનાવવામાં આવે’ બીજા ફળિયાના લોકો આ વાતનો વિરોધ કરી રહ્યા છે.

ત્યારે ગતરોજ જ્યારે દવાખાનાની ગ્રાંટ મંજુર થઇ જતા વાંસદા તાલુકાના TDO સ્થળ નિરીક્ષણ માટે ગયા હતા તે સમયે બે ફળિયાના લોકો સામસામે આવી ઝઘડો કરવા લાગતાં પોલીસ બોલાવી મામલો થાળે પાડ્યો હતો. હવે જોવું એ રહ્યું કે આ ઘટનાનો અંજામ શું આવે છે.