ભરૂચ: વાગરા તાલુકામાં સ્થિત જીઆઈડીસીમાં રહેલી વીડીસાઈડ અને પેસ્ટીસાઈડનુ ઉત્પાદન કરતી કંપની દ્વારા હવા પ્રદુષણ કરવા અને તેના લીધે આસપાસના 218 ગામના 77,000 ખેડુતો સહિત 1.60 લાખ લોકોને થતી હેરાનગતિ અને મુશ્કેલીઓના સંદર્ભે હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી કરવામાં આવી છે.

Decision Newsએ સંદેશના પ્રકાશિત અહેવાલમાંથી મેળવેલી માહિતી મુજબ સુનાવણી બાદ હાઈકોર્ટે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, CPCB, GPCB સહિત તમામ પક્ષકારોને નોટિસ પાઠવી છે. આ કેસની વધુ સુનાવણી 24 એપ્રિલે હાથ ધરવામાં આવશે અરજદારની માંગણી છે કે નિષ્ણાતોની કમિટી બનાવો અને આ નુકસાન બાબતે તપાસ કરાવો, જવાબદારી નક્કી કરો, પર્યાવરણ સંદર્ભે વિવિધ કોર્ટે આપેલા આદેશનુ પાલન કરાવો, ખેતીના પાકને થતા નુકસાનને અટકાવો, આ કંપનીને રિ-લોકેટેડ કરો.

હાઈકોર્ટમાં અરજદારના વકીલની રજૂઆત હતી કે, આ કંપની દ્વારા ખેતી માટે ઉપયોગમાં લેવાતા જંતુનાશકનુ ઉત્પાદન કરાય છે. જેના લીધે, હવામાં મોટા પાયે પ્રદુષણ ફેલાય છે અને તેની સાથે સાથે એસિડનુ પણ હવામાં ઉત્સર્જન થાય છે. જેના લીધે, આસપાસના 218 ગામડાઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ઉત્સર્જન થતો આ એસિડ હવા મારફતે આ ગામડામાં રહેલા પાક પર પડે છે અને તેને મોટાપાયે નુકસાન પહોંચાડે છે.

આ સિવાય લીમડો, વડલા, પીપળા સહિતના વૃક્ષોને એ હદે નુકસાન પહોંચાડે છે કે તે સુકાઈ જાય છે. આ સ્થિતિના લીધે, આ વિસ્તારમાં પર્યાવરણના સંતુલનને પણ મોટી અસર પડી રહી છે. ભૂતકાળમાં આ મુદ્દે અનેક વાર ફરિયાદો થઇ ચુકી છે. પણ તેનો કોઈ નીવડો હજુ સુધી આવ્યો નથી