અમદાવાદ: દેશભરને હચમચાવી દેનારા અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસનો ચુકાદો આવ્યો છે. કોર્ટે 77 આરોપીઓમાંથી 49 આરોપીઓને દોષિત જાહેર કર્યા છે. જ્યારે 28 આરોપીઓને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કર્યા છે. જેમાં આવતીકાલે હવે સજાનું એલાન કરાશે.

સરકારી વકીલ અમિત પટેલે માહિતી આપતા કહ્યું કે, 49 આરોપીઓને દોષિત જાહેર કરાયા છે, જેમાં 23 નંબરના આરોપી સામે ગુનો ગંભીર છે. આવતીકાલે તમામ આરોપીઓને સજા સંભળાવામાં આવશે. તો મુખ્ય સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટે મોટું નિવેદન આપ્યું છે, તેઓ કહ્યું કે જે કલમો લગાવાઇ છે પ્રમાણે ફાંસીની સજા થઇ શકે છે. 26 જુલાઈ 2008ના દિવસે અમદાવાદમાં કુલ 20 સ્થળો પર એક બાદ એક સિરિયલ વિસ્ફોટ થયા હતા. જેમાં 58 લોકોના મૃત્યુ થયા હતા અને 244ને ઇજા પહોંચી હતી,

આજે આરોપીઓને જેલમાંથી વીડિયો કોન્ફરન્સથી જજ એ.આર.પટેલ સમક્ષ હાજર કરાયા હતા. આ કેસમાં 77 આરોપીઓ સામે છેલ્લાં 14 વર્ષથી ટ્રાયલ ચાલતી હતી અને કેસમાં ખાસ એડવોકેટ એચ.એમ.ધ્રુવ, અમિત પટેલ, મિતેષ અમીન અને સુધીર બ્રહ્મબટ્ટે કામગીરી કરી હતી.

ઘટના વિષે.. વાત કરીએ તો.. અમદાવાદમાં 26 જુલાઈ 2008માં એકબાદ એક 20 સિરિયલ બ્લાસ્ટ થયા હતા. જેમાં 58 લોકોના મૃત્યુ થયા. અને 244 લોકોને ઇજા થઇ. સમગ્ર બ્લાસ્ટની જવાબદારી આતંકી સંગઠન ઇન્ડિયન મુઝાહિદ્દીન દ્વારા સ્વીકારવામાં આવી હતી, આ બ્લાસ્ટ બાદ પ્રથમ વખત આતંકી સંગઠન ઇન્ડિયન મુઝાહિદ્દીનનું મોડ્યુલ સામે આવ્યું હતું. જેમાં રિયાઝ, ઇકબાલ, યાસીન ભટકલની આ સમગ્ર મામલે માસ્ટરમાઇન્ડની ભૂમિકા હતી. આતંકીઓએ બ્લાસ્ટનું પ્લાનિંગ કેરળના જંગલોમાં કર્યું હતું. ત્યારે બ્લાસ્ટ બાદ આતંકીઓનું મોડ્યુલ સામે આવતા તપાસની જવાબદારી ખાસ અધિકારીઓને સોંપી દેવાઇ હતી, અને 19 દિવસમાં જ કેસ ઉકેલાયો હતો. આ મામલે અમદાવાદમાં 20 અને સુરતમાં 15 ફરિયાદ નોંધાઇ હતી. આમ કુલ 35 કેસોને એકસાથે ભેગા કરી દેવામાં આવ્યા હતા. આ કેસમાં કુલ 78 આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા હતા. હાલ 49 લોકો સાબરમતી જેલમાં છે. અમદાવાદમાં હાટકેશ્વર સર્કલ, બાપુનગર, ઠક્કરબાપાનગર, જવાહર ચોક, સિવિલ હોસ્પિટલ, એલજી હોસ્પિટલ, મણિનગર, ખાડિયા, રાયપુર, સારંગપુર, ગોવિંદવાડી, ઇસનપુર, નારોલ, સરખેજ જેવા વિસ્તારોમાં બ્લાસ્ટ થયા હતા.

લોકચર્ચા છે કે સમગ્ર બોમ્બ બ્લાસ્ટની માહિતી ગુપ્તચર વિભાગના એક હેડ કોન્સ્ટેબલ કક્ષાના કર્મીએ તેના સિનિયર અધિકારીઓને આપી હતી. પરંતુ આ પોલીસકર્મીના રિપોર્ટને ફાઈલોની વચ્ચે દબાવી રાખવામાં આવ્યો હતો. IBના તત્કાલીન હેડ કોન્સ્ટેબલ બલવંતસિંહે આ ગ્રુપની માહિતી આપી હતી. જેમાં સાબરમતી જેલમાંથી ઉપયોગમાં લેવાતા ફોન નંબર પણ હતાં. જો આ હેડ કોન્સ્ટેબલે આપેલા રિપોર્ટને ગંભીરતાથી લેવામાં આવ્યો હોત તો સિરિયલ બોમ્બ બ્લાસ્ટથી બે શહેરોને બચાવાઈ શકાયા હોત.