ડેડીયાપાડા: દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં નકલી બિયારણ અને નકલી ખાતરના વેચાણની મોટી સમસ્યા વધી રહી છે. ડેડીયાપાડા, સાગબારા અને ચીકદા તાલુકાના બજારોમાં મોટી મોટી ટ્રકો દ્વારા નકલી માલની ઘેરાબંધી આવી રહી છે, જેનાથી સ્થાનિક ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
આદિવાસી સામાજિક યુવા આગેવાન અશ્વિન વસાવાએ આ અંગે ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું કે, “ડેડીયાપાડા, સાગબારા અને ચીકદા તાલુકાના બજારોમાં નકલી બિયારણ અને નકલી ખાતરોની મોટી માત્રામાં આવક થઈ રહી છે. આ નકલી ઉત્પાદનોના ઉપયોગથી ખેડૂતોની જમીનની ફળદ્રુપતા બગડી જશે અને લાંબા ગાળે ખેતી પેદાશમાં ભારે નુકસાન થશે. અમે આદિવાસી ખેડૂતોને અપીલ કરીએ છીએ કે તેઓ જમીન બચાવવા માટે સજાગ રહે અને નકલી વેપારીઓને મેથીપાક આપે, જેથી તેઓ લૂંટવાનું બંધ કરે.”
સ્થાનિક ખેડૂતોનું કહેવું છે કે આ નકલી ખાતર અને બિયારણના કારણે પાકનું નુકસાન થઈ રહ્યું છે અને જમીનની ગુણવત્તા ઝડપથી ઘટી રહી છે. ઘણા ખેડૂતો આવા નકલી માલને ઓળખી શકતા નથી, જેનો અસાધારણ વેપારીઓ લાભ ઉઠાવી રહ્યા છે. આ મામલે વન અને કૃષિ વિભાગને તાત્કાલિક કાર્યવાહી કરવા માટે માંગ કરવામાં આવી છે.
આદિવાસી યુવા આગેવાનોનું કહેવું છે કે જો સરકાર અને વહીવટી તંત્ર સક્રિય નહીં થાય તો આ વિસ્તારની ખેતી અને ખેડૂતોની આવક પર ગંભીર અસર પડશે. ખેડૂતોને માત્ર સરકારી અધિકૃત દુકાનો અથવા વિશ્વસનીય સ્ત્રોતમાંથી જ બિયારણ અને ખાતર ખરીદે અને નકલી માલ મળે તો તાત્કાલિક સ્થાનિક કૃષિ અધિકારીઓને જાણ કરે.











