વાંસદા: નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં LLB અને લો કોલેજની સ્થાપનાની માંગ વધુ તેજ પકડી રહી છે. આદિવાસી વિદ્યાર્થીઓ પણ વકીલ બનીને સમાજસેવા કરવા માંગે છે તેવા સ્પષ્ટ સંદેશ સાથે સ્થાનિક આદિવાસી સમાજ અને વિદ્યાર્થીઓએ સરકાર સમક્ષ આ માંગ ઉઠાવી છે.
ધારાસભ્ય અનંત પટેલે આ મુદ્દે સ્પષ્ટ વલણ અપનાવ્યું છે. તેમણે કહ્યું, “આદિવાસી યુવાઓને કાયદાના અભ્યાસ માટે સારી સુવિધાઓ મળે તે જરૂરી છે. જો લો કોલેજ મેળવવા માટે આંદોલન કરવું પડે તો આદિવાસી સમાજ સાથે મળીને આંદોલન કરવા તૈયાર છીએ.” વાંસદા તાલુકો આદિવાસી બહુલ વિસ્તાર છે. અહીંના યુવાનોને ઉચ્ચ અભ્યાસ માટે વલસાડ, સુરત કે અમદાવાદ જેવા શહેરોમાં જવું પડે છે, જે આર્થિક અને સામાજિક રીતે ઘણા વિદ્યાર્થીઓ માટે અઘરું બની જાય છે. સ્થાનિક સ્તરે લો કોલેજની સ્થાપનાથી આદિવાસી વિસ્તારના યુવાનોને વકીલાત, કાયદાકીય જ્ઞાન અને સરકારી નોકરીઓમાં વધુ તકો મળી શકે તેમ છે.
સ્થાનિક આદિવાસી વિદ્યાર્થીઓનું કહેવું છે કે, “અમે પણ વકીલ બનીને અમારા સમાજના હક્કોનું રક્ષણ કરવા માંગીએ છીએ. પરંતુ સ્થાનિક સુવિધાના અભાવે ઘણા વિદ્યાર્થીઓ મધ્યમમાં જ અભ્યાસ છોડી દે છે.” ધારાસભ્ય અનંત પટેલે આ માંગને વિધાનસભામાં ઉઠાવવા અને સરકાર સમક્ષ રજૂ કરવાની તૈયારી વ્યક્ત કરી છે. આદિવાસી સંગઠનો અને વિદ્યાર્થી સંગઠનો પણ આ મુદ્દે સક્રિય થયા છે. આ માંગ સાથે વાંસદા તાલુકાના આદિવાસી યુવાનોમાં શિક્ષણ અને સશક્તિકરણની નવી લહેર જોવા મળી રહી છે. સરકાર આ માંગને કેટલી ઝડપથી સ્વીકારે છે તેના પર સ્થાનિક આદિવાસી સમાજની નજર છે.











