નવસારી: બહુજન હિતાય સંઘ અને વિદ્યા સંજીવની મંડળના સંચાલક અને નવસારીના જાણીતા વકીલ પરેશ વાટવેચા અને વિપુલ મકવાણા દ્વારા પ્રથમ મહિલા શિક્ષિકા સાવિત્રીબાઇ ફૂલેની 130 મી પુણ્યતિથિ નિમિતે સમાજના વંચિત વર્ગ અને મહિલાઓ માટે પોતાનું સર્વસ્વ લૂંટાવી દેનાર સાવિત્રીબાઇ ફૂલે અને જ્યોતિરાવ ફૂલેના જીવનચરિત્ર પરથી લોકો અન્યાય વિરુદ્ધ સંઘર્ષ કરતા શીખે અને જિંદગીમાં શિક્ષણનું મહત્વ સમજે તે હેતુથી શ્રદ્ધાંજલિ કાર્યક્રમ અને જનસભાનું આયોજન કરેલ હતું.
ખેરગામના મહિલા તબીબ ડો.દિવ્યાંગી પટેલના હસ્તે ફુલહાર કર્યા બાદ પરેશ વાટવેચાએ ખુબ જ પ્રેરણાદાયક રીતે જીવનચરિત્રનું ભાવપૂર્વક વર્ણન કરી ઉપસ્થિત લોકોનું મન ભાવવિભોર કર્યું હતું અને ડો.નિરવ ભુલાભાઇ પટેલે જેમની અટક જ ફૂલે હતી અને જેમના કામોથી આખી જિંદગી ફૂલો જેવી સુગંધિત બનીને સદીઓ સુધી જેમના કામો લાખો જિંદગીઓમાં સુગંધ ફેલાવતા રહેશે અને બાબાસાહેબ આંબેડકર પણ જેમને પોતાના ગુરુ માનતા તેવા મહાનુભાવ બેલડીને હૃદયપૂર્વક વંદન કર્યું હતું.
ઉપસ્થિત લોકોએ જ્યોતિરાવ ફૂલે અને સાવિત્રીબાઇ ફૂલેને ભારત રત્ન એવોર્ડ આપવામાં આવે અને નવસારીમાં વિશાળ કદની પ્રતિમા સ્થાપિત કરવામાં આવે એવી માંગ કરી છે અને આવનાર 11 એપ્રિલના રોજ માળી સમાજ દ્વારા જ્યોતિરાવ ફૂલે અને ડો.આંબેડકરની જન્મજયંતિ એકસાથે ઉજવવામાં આવશે તેવી જાહેરાત કરી હતી અને પરેશભાઈ વાટવેચા દ્વારા ડો.બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિતે રક્તદાન કૅમ્પ,મેડિકલ કૅમ્પ,મહાનુભાવોના સન્માન તેમજ સામુહિક જમણવારની જાહેરાત કરી હતી.આ પ્રસંગે ઈંદ્રજિત સંતોષ,ઈશ્વર માળી સહીત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.











