ખેરગામઃ ખેરગામ તાલુકા પંચાયતમાં ભ્રષ્ટાચારના આક્ષેપોને લઈ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલની આગેવાનીમાં કોંગ્રેસના કાર્યકરોએ ખેરગામ તાલુકા પંચાયત કચેરીએ એકત્ર થઈ સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો. જોકે ટીડીઓએ રજૂઆત અંગે એક અઠવાડિયામાં તપાસ કરી જવાબ આપવાની ખાતરી આપતા વિરોધ સમ્યો હતો.
ખેરગામ તાલુકા પંચાયત કચેરીએ હાલમાં મળેલી ખાસ સામાન્ય સભાના વિપક્ષનાસવાલોના જવાબો આપવા વગર તાલુકા પ્રમુખ સભા છોડીને ચાલ્યા જતાં કોંગ્રેસના સભ્યો ધરણા પર બેઠા હતા, જે બાદ ટીડીઓએ તપાસ કરવાની ખાતરી આપી હતી. પરંતુ તપાસ ન થતાં ખેરગામ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલની આગેવાનીમાં હલ્લાબોલનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
કોંગ્રેસના કાર્યકરોએ તાલુકા વિકાસ અધિકારીની ઓફિસની બહાર બેસીને રામધૂન બોલાવીઅનોખી રીતે વિરોધ વ્યક્ત કર્યો હતો. આ દરમિયાન કાર્યકરોએ બહેજ ગામે ગૌચરની જમીનમાંથી વૃક્ષો તથા માટીની ચોરી થયાની ઘટનાની તપાસ કરવાની માંગ ઉઠાવી હતી. તાલુકા પંચાયત દ્વારા બનાવવામાં આવેલા કેટલાક રસ્તાઓમાં ભ્રષ્ટાચાર થયાના આક્ષેપ સાથે પણ યોગ્ય તપાસ કરવાની માંગ કરવામાં આવી હતી. ટીડીઓએ રજૂઆત અંગે એક અઠવાડિયામાં તપાસ કરી જવાબ આપવાની ખાતરી આપી હતી.
ભાજપના વર્તુળોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે કોંગ્રેસ માત્ર રાજકીય એડ્વાન્ટેજ મેળવવા માટે પાયાવિહોણા આક્ષેપો કરી રહી છે. આગામી દિવસોમાં આ આક્ષેપ-પ્રતિઆક્ષેપની લડાઈ વધુ તેજ બને તેવી પૂરેપૂરી શક્યતા નકારી શકાય નહીં.











