નવસારી: નવસારીના મીનાબેન રાજેશભાઈ જોષી બેલારૂસમાં ફસાયા બાદ હવે ટૂંક સમયમાં વતન પરત ફરશે. તેઓ આગામી 24 મી તારીખે ભારત પરત આવી રહ્યા છે, જેના પગલે તેમના પરિવારમાં ખુશીનો માહોલ છે. મીનાબેન બેલારૂસમાં મુશ્કેલીમાં હોવાનો વીડિયો સૌ પ્રથમ દિવ્ય ભાસ્કરે પ્રકાશિત કર્યો હતો.
આ અહેવાલ બાદ નવસારીના સામાજિક અગ્રણીઓ અને તંત્ર દ્વારા પરિવારનો સંપર્ક કરવામાં આવ્યો હતો. પરિવારે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી અને તેમને આશ્વાસન અપાયું હતું. આ સમગ્ર મામલે બ્રહ્મ સમાજના પ્રમુખ નરેશ પુરોહિતે જણાવ્યું હતું કે, મીનાબેનના પરત આવવાના સમાચારથી પરિવારમાં આનંદ છે. તેમણે આ ઘટના પરથી બોધપાઠ લેવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
પુરોહિત લોકોને બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળેલા એજન્ટો થી સાવધાન રહેવા અપીલ કરી હતી. તેમણે ઉમેર્યું કે, આવા એજન્ટો વિદેશમાં લાખોની કમાણી કરાવવાની ખોટી લાલચ આપી નિર્દોષ લોકોને ફસાવે છે. ઘણા લોકો દેવું કરીને અથવા મકાન, દાગીના વેચીને વિદેશ જવા તૈયાર થાય છે. પરંતુ ત્યાં જઈને મુસીબતમાં મુકાય છે. કોઈ પણ અજાણ્યા એજન્ટના ભરોશે આવ્યા વગર પૂરી તપાસ કર્યા પછી જ આગળ વધવું જોઈએ.











