નવસારી: આજરોજ સમસ્ત આદિવાસી સમાજ દ્વારા આદિવાસી સમાજના લાખો લોકોની લાગણીઓને માન આપી 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસના દિવસે તમામ સરકારી-અર્ધસરકારી-ખાનગી સંસ્થાઓમાં રજાની માંગણી રાજય સરકાર સમક્ષ પુન: દોહરાવી હતી.
આ બાબતે મીડિયા સાથેની વાતચીતમા સમસ્ત આદિવાસી સમાજના નવસારી જિલ્લા પ્રમુખ ડો.નિરવ ભુલાભાઇ પટેલે જણાવ્યું હતું કે યુનો દ્વારા ઘોષિત વિશ્વ આદિવાસી દિવસ હવે એક સામાન્ય દિવસ નહીં રહેતા સમગ્ર દેશના આદિવાસી સમાજ માટે એક મહાઉત્સવ બની ચુક્યો છે.જેની ઉજવણી આખા દેશમાં ભારે રંગેચંગે થાય છે.અને હવે તો રાજય સરકાર પણ અનુસૂચિ પાંચ વિસ્તારોમાં પોતાના મંત્રીશ્રીઓને મોકલી મોટા મોટા કાર્યક્રમો કરાવી રહી છે.પરંતુ દુઃખની વાત એ છે કે છેલ્લા થોડા વર્ષોથી વિવિધ આદિવાસી સંગઠનો 9મી ઓગસ્ટના રોજ રાજયના તમામ આદિવાસી વિસ્તારોમાં ખાનગી તેમજ સરકારી તેમજ અર્ધસરકારી સંસ્થાઓ અને શાળા-કોલેજોમા રજાની માંગણી કરી રહેલ છે તેમ છતાં ખબર નહી ક્યા કારણોસર સરકાર 9 મી ઓગસ્ટના રોજ ફરજીયાત રજા જાહેર નથી કરી રહેલ.જેના લીધે અનેક નોકરિયાત વર્ગ અને ભણતા બાળકો નછૂટકે કમને વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં ભાગ લઇ શકતા નથી.ભારત દેશ એક ઉત્સવ અને તહેવારપ્રિય દેશ છે,અહીંની પ્રજા વિવિધતામા એકતામા માને છે.આથી તમામ ધર્મના લોકો નાત-જાત-ધર્મ-સંપ્રદાયનો ભેદભાવ રાખ્યા વગર એકબીજાના ઉત્સવો અને તહેવારો મનાવે છે તેમછતા વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી માટે આદિવાસી વિસ્તારોમાં જાહેર રજા નહીં જાહેર કરી સરકાર આદિવાસી સમાજ સાથે અન્યાય કરી રહી છે એવું અમારા જેવા અનેક લોકોનું માનવું છે.
આદિવાસી સમાજની સરખામણીમા ઘણી ઓછી વસ્તી ધરાવતા અન્ય ઘણા સમાજોના રાજ્યવાસીઓને તહેવારો નિમિત્તે ફરજીયાત જાહેર રજા આપવામાં આવે છે તો આદિવાસી સમાજની સૌથી વધુ લાગણીઓ સાથે જોડાયેલા વિશ્વ આદિવાસી દિવસ માટે રજા કેમ નહીં ? રાજયના સમાહર્તા વડા તરીકે કરોડ જેટલાં આદિવાસીઓની લાગણી અને માંગણી સમજીને આ દિશામાં યોગ્ય કાર્યવાહી કરી રાજસ્વ વિષયક નિર્ણય લઇ હવેથી દરવર્ષે 9 મી ઓગસ્ટના વિશ્વ આદિવાસી દિવસની ફરજીયાત રજા જાહેર કરી 1 કરોડ જેટલાં આદિવાસી સમાજના લોકોની લાગણીઓને મુખ્યમંત્રીશ્રી ગુજરાત રાજય માન આપશો એવી મા પ્રકૃતિને પ્રાર્થના.

