સુરત: સુરતમાં આત્મહત્યાની ઘટના અવિરત બની રહી છે, વધુ ત્રણે જીવ ટૂંકાવ્યો હોવાનું સરકારી ચોપડે નોંધાયું છે. સરથાણામાં વૃદ્ધાએ ગૃહ ક્લેશથી કંટાળી આપઘાત કર્યો હતો, ડિડોલીમાં લોનના હપ્તા નહીં ભરાતા યુવકે આપઘાત કર્યો હતો જ્યારે પુણાગામમાં યુવાન પરિણીતાએ ફાંસો ખાધો હતો.

Decision News ને મળેલી માહિતી અનુસાર આપઘાતના પહેલા કિસ્સા મુજબ મૂળ ભાવનગર જિલ્લામાં આવેલા તળાજા ગામના વતની વૃધ્ધા ગૌરીબેન નરશીભાઈ બેલડીયા હાલ શહેરમાં સરથાણામાં આવેલી ખોડલ છાયા સોસાયટીમાં પુત્ર સાથે રહેતા હતા. તેમનો પુત્ર એમ્બ્રોઇડરીનું ખાતું ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. શનિવારે ગૌરીબેને પોતાના ઘરમાં ઝેરી દવા પી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. જેથી પરિવારજનો તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. શનિવારે સાંજે ગૌરીબેનનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. હાલ તો પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. હાલ તો પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ગૌરીબેને ગૃહ ક્લેશથી કંટાળી અંતિમ પગલું ભર્યું હોવાની શક્યતા છે. બીજા કિસ્સામાં મૂળ મહારાષ્ટ્રના જલગાંવના વતની 42 વર્ષીય રોહિદાસ ડિગળેર મહાલે હાલમાં ડીંડોલીમાં પરિવાર સાથે રહેતા હતા. તેમને પરિવારમાં પત્ની અને બે સંતાન છે, તેઓ નોકરી કરી પરિવારનું ભરણપોષણ કરતાં હતા. સામાન્ય પગારમાં ઘર ચલાવવા રોહિદાસે અલગ અલગ બેન્કમાંથી લોન લીધી હતી. જોકે, નજીવા પગારમાં બેંકના હપ્તા ભરવાનું આકરું બન્યું હતું. જેથી રોહિદાસે આજે સવારે પોતાના ઘરમાં લોખંડના હૂક સાથે દુપટ્ટો બાંધીને ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવ અંગે ડીંડોલી પોલીસે આગળની કાર્યવાહી સાથે વધુ તપાસ શરૂ કરી હતી.

ત્રીજા કિસ્સામાં મૂળ મધ્ય પ્રદેશના વતની 22 વર્ષીય સુરતાબેન શાંતુ ડામોર હાલમાં સુરત શહેરના પુણા વિસ્તારમાં આવેલા શાશ્વત પ્લાઝાની પાછળ રહેતા હતા. તેમના પતિ શાંતુ ડામોર મજૂરી કામ કરી પરિવારનું ભરણપોષણ કરે છે. સુરતાબેને રવિવારે વહેલી સવારે ઘર નજીક આવેલા ઝાડની ડાળી સાથે દુપટ્ટો બાંધી રહસ્યમય સંજોગોમાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધી હતી. સુરતાબેનના એક વર્ષ પહેલા લગ્ન થયા હતા અને લગ્નના એક વર્ષમાં જ આપઘાત કરી લેતા બનાવ પાછળ શંકા કુશંકા સેવાઇ રહી છે.