નવસારી: નવસારી મહાનગરપાલિકાએ ઉનાળાની તીવ્ર ગરમીથી નાગરિકોને રાહત આપવા માટે એક મહત્વપૂર્ણ પહેલ કરી છે. વોટરવર્ક્સ વિભાગ દ્વારા શહેરના 15 જુદા જુદા વિસ્તારોમાં ઓ.આર.એસ સાથે પાણીની પરબની વ્યવસ્થા કરવામાં આવી છે.
આ પરબ શહેરના મુખ્ય સ્થળો જેવા કે નવસારી મહાનગરપાલિકા શાકભાજી માર્કેટ, ટાવર પાસે, એસ.ટી. ડેપો અને નેશનલ હાઈવે નંબર 48 પર સ્થાપિત કરવામાં આવી છે. વધુમાં, એરુ ચાર રસ્તા, વિજલપોર શિવાજી ચોક અને વિઠ્ઠલ મંદિર જેવા વ્યસ્ત વિસ્તારોમાં પણ પરબની સુવિધા ઉપલબ્ધ કરાઇ રહી છે.
Decision News ને મળેલી માહિતી અનુસાર વિરાવળ જકાતનાકા પાસે સ્ટેશન બસ સ્ટોપ, દુધિયા તળાવ વોટરવર્ક્સ, બાજપાઈ ગાર્ડન અને પારસી હોસ્પિટલ વિસ્તારમાં પણ પરબ મૂકવામાં આવી છે. જ્યુબિલી ગાર્ડન, કુવારા, ડૉ. આંબેડકર ગાર્ડન અને શ્રી આશાપુરી મંદિર પાસે પણ આ સુવિધા ઉપલબ્ધ છે. સિરવાઈ પાર્ક, લુન્સીકુઈ અને પંડિત દીનદયાળ ચોક પર પણ પરબની વ્યવસ્થા કરવામાં આવી છે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકો અને રાહદારીઓને ઠંડુ અને શુદ્ધ પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવાનો છે.

