વલસાડ: વલસાડ તાલુકાના સોનવાડા ફકીરા ફળીયામાં આવેલા ઇંટના ભઠ્ઠામાં કામ કરતા 40 વર્ષીય સુનિલભાઈ રવજીભાઈ હળપતિને ખેચ આવી જતાં સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. સુનિલભાઈ છેલ્લા 5 વર્ષથી ખેંચની બીમારીથી પીડાતા હતા.
Decision News ને મળેલી માહિતી અનુસાર ઘટના સાંજના છ વાગ્યાની આસપાસની છે. મજૂરો કામ પૂરું કરીને પતરાના સેડમાં એકત્ર થયા હતા. આ દરમિયાન સુનિલભાઈને અચાનક ખેંચનો દોરો પડયો હતો. ત્યાં હાજર મજૂરોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. સુનિલભાઈને ડુંગરી સરકારી દવાખાનામાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
આ ઘટના અંગે સોનવાડા ફકીરા ફળીયાના સરપંચ દિનેશભાઈ આહિર અને સંજયભાઈ પટેલે પોલીસને જાણ કરી હતી. પરિવારજનોએ મૃત્યુ અંગે કોઈ શંકા વ્યક્ત કરી નથી. તેમણે કાયદેસર તપાસ માટે લેખિતમાં જાણ કરી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ડુંગરી સરકારી દવાખાનાના પી.એમ. રૂમમાં રાખવામાં આવ્યો છે. પોલીસે ઘટનાની નોંધ લઈને તપાસ શરૂ કરી છે.

