નેત્રંગ: નેત્રંગ તાલુકાના ઘણી શાળાઓમાં શિક્ષકો ગેરહાજર રહે છે તેમજ નશો કરીને આવતા હોવાની બૂમો ઉઠી રહી છે.શિક્ષણ દિનપ્રતિદિન કથળી રહ્યું છે.ત્યારે આવોજ એક કિસ્સો નેત્રંગ તાલુકાના કોલીવાડા ગામમાં આવેલ પ્રાથમિક શાળાના શિક્ષક નશાની હાલતમાં આવી બાળકોને શાળાના ઓરડામાં બંધ રાખી માર મારતો હોવાના માહિતી ગ્રામજનો દ્વારા મળતા દિલીપ વસાવા સહીતના શાળા ખાતે પહોંચી નશેબાજ ગુરુની બદલીની માંગ કરી હતી. આદિવાસી બાળકોનું શિક્ષણ કથળતું જતું હોવાના પણ આક્ષેપ કર્યા હતા.
DECISION NEWS ને મળેલી માહિતી મુજબ ભરૂચ જીલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકોના ભવિષ્ય સાથે ચેંડા થઇ રહ્યા હોય તેવા અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે.ત્યારે નેત્રંગ તાલુકાના કોલીવાડા ગામમાં આવેલ પ્રાથમિક શાળાના શિક્ષક રમણ વસાવા સામે વાલીઓએ બાયો ચડાવી છે.વાલીઓએ આ અંગે પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવાના પુત્ર દિલીપ વસાવાને જાણ કરતા સ્થળ પર દોડી આવ્યા હતા અને છેલ્લા બે મહિનાથી નશાની હાલતમાં આવતા શિક્ષક દ્વારા બાળકોને શાળામાં અંદર પૂરી રાખી માર મારવામાં આવતો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા.વાલીઓએ અને આગેવાનોએ બાળકોના ભવિષ્ય સાથે રમત રમનારા નશેબાજ શિક્ષકની બદલી કરવા સાથે યોગ્ય શિક્ષકની માંગ કરી હતી.કોલીવાડાની શાળાના ઓરડા પણ જર્જરીત થઈ ગયા છે તેમજ ઓરડામાં કચરો અને ગંદકી ફેલાયેલી છે ત્યારે તાલુકા શિક્ષણ અધિકારી તેમજ શિક્ષણ વિભાગની બેદરકારી સામે આવી હતી.
દિલીપ વસાવા નેત્રંગ તાલુકા શિક્ષણ અધિકારી સુરેશ વસાવા સાથે ટેલિફોનિક વાતચીત કરતા નેત્રંગ તાલુકા શિક્ષણ અધિકારી અને બીઆરસી સહાયકે પહેલા તોછડી વર્તન કર્યા બાદ શાળા ખાતે દોડી આવ્યા હતા અને નશેબાજ શિક્ષક પર શિક્ષાત્મક પગલાં લેવા માટે કાર્યવાહી શરૂ કરી હતી.











