ડેડીયાપાડા: બે દિવસથી સતત વરસી રહેલાં વરસાદના કારણે ડેડીયાપાડાના નદીઓ, નાળાઓ તો છલકાયા છે છે જ પણ સાથે સાથે હલકી ગુણવત્તા સાથે બનાવેલ રોડ રસ્તા પણ ધોવાઈ ગયા છે ત્યારે ડેડીયાપાડા થી રાજપીપળા જવા માટે જે પુલ તૂટયાના કારણે ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું તે પણ હવે ધોવાયું હોવાના દ્રશ્યો સામે આવ્યા છે.

Decision News ને મળેલી માહિતી મુજબ બે દિવસથી સતત વરસી રહેલાં વરસાદના લીધે ડેડિયાપાડાના મોવી પાસેનો પુલ ગત મહિને ભારે વરસાદમાં તૂટી ગયા બાદ ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું જે વરસાદમાં ધોવાઇ જતાં સ્ટેટ હાઇવે બંધ થઇ ગયો છે. ગત મહિને આ માર્ગ પર બનેલો બ્રિજ તૂટી જતાં વાહનવ્યવહાર બંધ કરવાની નોબત આવી હતી અને હવે ડાયવર્ઝન ધોવાઈ જવાના લીધે સ્થાનિક અને રાજપીપળા તરફ કામ અર્થે જતાં વાહનચાલકોને ફરી ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.

હાલમાં ડેડિયાપાડાથી રાજપીપળા જવા માટે વાહનચાલકોને નેત્રંગ સુધીનો ફેરાવો કરવો પડી રહ્યો છે જેને લઈને લોકોમાં ખુબ જ આક્રોશ જોવા મળી રહ્યો છે. લોકો કહે છે અમાર ટેક્સના રૂપિયાથી રોડ બનાવવાનો, કોન્ટ્રાક્ટર પોતાના ખિસ્સા ભરે, અમારે જ મુશ્કેલીઓ વેઠવાની.. આ તો સરકારની કેવી નીતિ..