પશ્ચિમ બંગાળના પાટનગર કોલકાતાની આરજીકાર મેડિકલ કોલેજના મહિલા ઇન્ટર્ન તબિબ પર 9/8/2024 ની મોડી રાત્રે રેપ કરીને તેની નિર્મમ હત્યાં કરવામાં આવી હતી,જેના લીધે સમગ્ર દેશમાં ખાસ કરીને મહિલાઓમાં આક્રોશની લાગણીઓ ફાટી નીકળી છે.દેશમાં બળાત્કારી વિરુદ્ધ ઠેર ઠેર વિરોધ પ્રદર્શન ફાટી નીકળ્યા છે.

DECISION NEWS ને મળેલ માહિતી મુજબ ઇન્ડિયન મેડિકલ એસોસીએસનની રાષ્ટ્રીય શાખાએ આ ઘટનાના વિરોધમા આખા દેશના ડોકટરોની હડતાળની જાહેરાત કરેલ હતી જેના સમર્થનમા આજે આખા વલસાડ જિલ્લાના ડોકટરોએ પણ ઇમરજન્સી સિવાય પોતાની તમામ સેવાઓ બંધ રાખી આંદોલનને ટેકો આપ્યો હતો.વલસાડના તબિબોએ સર્કિટ હાઉસ ખાતે ભેગા થઈ વાતચીત કરી વલસાડ જિલ્લા કલેકટર સમક્ષ આવેદનપત્ર આપી પોતાની વેદના વ્યક્ત કરી હતી અને દિવસે દિવસે ડોકટરો પર વધી રહેલા હુમલાઓ બાબતે ચિંતા વ્યક્ત કરી હતી અને રેપ વિથ મર્ડરના આરોપીઓને ફાંસીથી ઓછી સજા નહિ થાય તેની માંગ કરી હતી.આ પ્રસંગે ઇન્ડિયન મેડિકલ એસોસિએસનની વલસાડ શાખાના પ્રમુખ અને ઉપપ્રમુખ ડો.કલ્પેશ જોશી અને ડો.નિશિથ પટેલે જણાવ્યું હતું કે આવી રીતે કોઈપણ મહિલાઓ સાથે આવું જધન્ય કૃત્ય સાંખી લેવાય એમ નથી.ડોકટરો જ જો પોતાને સુરક્ષિત નહિ અનુભવશે તો દર્દીઓની વ્યવસ્થિત સારવાર કેવી રીતે આપી શકશે?માટે ડોકટરોની સુરક્ષા માટે કડકમાં કડક કાયદો બનાવી તેનો તાત્કાલિક અમલમાં કરવામાં આવે.

વલસાડના ડોકટરોએ સર્કિટ હાઉસ ખાતેથી કલેકટર કચેરી સુધી રેલી કાઢી હતી જેમાં અનેક ડોકટરો જોડાયા હતાં અને મૃતક મહિલા ઇન્ટર્ન તબિબ માટે ન્યાયની માંગણી કરી હતી.આ ન્યાયિક યાત્રામાં વલસાડના દિગ્ગજ તબિબો ડો.કાંતિ પટેલ,ડો.સતિષ નાયક,ડો.ઉદય દેસાઈ,ડો.આર.કે.દેસાઈ,ડો.મુસ્તાક કુરેશી,ડો.જયંતિ પટેલ,ડો.ધનજી પટેલ,ડો.પર્સી ખરાસ,ડો.દેવાંગ દેસાઈ,ડો.જયેશ શાહ,ડો.સંદીપ દેસાઈ,ડો.અજિત ટંડેલ,ડો.સંજીવ દેસાઈ,ડો.અશોક નથવાણી,ડો.નિલેશ તળેકર,ડો.શૈલજા મહસ્કર,ડો.ચંદ્રકાન્ત પટેલ,ડો.ગુમાનસિંહ દેસાઈ,ડો.કેતૂલ પટેલ,ડો.હેતલ પટેલ,ડો.મમતા તળેકર,ડો.મોના શાહ,ડો.મિતાલી ઠાકોર,ડો.જીત માવાણી,ડો.કયુર પટેલ,ડો.વિવેક પટેલ,ડો.વિરાગ દમણીયા,ડો.ઝંખના શાહ સહિત અનેક તબિબો,એમઆર અને પારામેડિકલ સ્ટાફ તેમજ સિવિલ હોસ્પિટલના જુનિયર ડોક્ટર્સ એસોસીએસનના પ્રમુખ ડો.મીત દવે જોડાયા હતાં.આ પ્રસંગે ભૂતપૂર્વ પ્રમુખ ડો.નિરવ ભુલાભાઇ પટેલે જણાવ્યું કે આવી જધન્ય અપરાધની ઘટના જોઈને કોઈપણ સામાન્ય માણસનું લોહી ઊકળી ઉઠે.મહિલાઓએ ન કરે નારાયણ આવી પરિસ્થિતિ આવીને ઉભી રહે તેની પૂર્વતૈયારીરૂપે પોતાની આત્મસુરક્ષા માટે હથિયાર રાખવાનો પરવાનો મેળવી લેવો જોઈએ.તેમજ હવે દરેક માબાપ પોતાની દિકરીને પપ્પાની પરી બનાવે એના કરતા ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ અને ઝલકારીબાઈ જેવી વીરાંગના બનાવે એ જ આજના સમયની માંગ છે.