રાજપીપલા: ગુજરાતના અન્ન અને નાગરિક પુરવઠા, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના રાજ્યમંત્રી અને નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી ભીખુસિંહજી પરમારે ‘જનજાતિય ગૌરવ દિવસ’ થી શરૂ થયેલી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ નો નાંદોદ તાલુકાની પ્રાથમિક શાળા વડિયા ખાતેથી પ્રારંભ કરાવ્યો હતો. આ સાથે આજરોજ આ અભિયાનનો શુભારંભ દેડિયાપાડાના સોલિયા ગામ ખાતે દેડિયાપાડાના તાલુકા વિકાસ અધિકારીશ્રી સોનીની ઉપસ્થિતિમાં કરાયો હતો.

નર્મદા જિલ્લાના ૨૨૨ ગ્રામ પંચાયત અને ૫૬૨ ગામોમાં ભ્રમણ કરનાર આધુનિક રથ દેડિયાપાડાના ૪૬ ગ્રામ પંચાયતમાં ભ્રમણ કરીને તાલુકાના નાગરિકને કેન્દ્ર-રાજ્ય સરકારની વિવિધ ફ્લેગશીપ યોજનાઓની માહિતી અને ફ્લેગશીપ યોજનાના લાભો ઉપલબ્ધ કરાવશે. ઉપરાંત પાત્રતા ધરાવતા વંચિત લાભાર્થીઓને પણ આ યાત્રા હેઠળ આવરી લેવાશે.

નર્મદા જિલ્લા સહિત દેડિયાપાડાના આદિજાતિ સમુદાયના નાગરિકોને કેન્દ્ર અને રાજ્ય સરકારની ફ્લેગશીપ યોજનાઓ લાભ આપી પત્રતા ધરાવતા વંચિત લાભાર્થીઓને આવરી લઈ ૧૦૦ ટકા લક્ષ્યાંકના નિર્ધાર સાથે આધુનિક રથ ભ્રમણ કરીને લોકજાગૃતિનો સંદેશ આપશે. આ કાર્યક્રમમાં સરપંચશ્રી, તાલુકાના જનપ્રતિનિધિશ્રીઓ, અધિકારીશ્રી-કર્મચારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.