વલસાડ: કૃમિમુક્ત બાળક એટલે તંદુરસ્ત બાળક.. તમામ બાળકો સ્વસ્થ રહે તે માટે રાજ્ય સરકારશ્રી દ્વારા વિવિધ અભિયાન હાથ ધરવામાં આવે છે. જે પૈકી કૃમિનાશક દવા પીવડાવવાની કામગીરી પણ ઝુંબેશના ધોરણે વલસાડ કપરાડા અને ધરમપુર તાલુકામાં  હાથ ધરાઈ હતી.

કૃમિના ચેપથી બાળકોને સ્વાસ્થ્ય ઉપર અનેક ગંભીર અસરો જેવી કે, લોહીની ઉણપ, પાંડુરોગ, કુપોષણ, ભુખ ન લાગવી, બેચેની, પેટમાં દુખાવો, ઝાડા ઉલટી, વજનમાં સતત ઘટાડો જેવા અનેક લક્ષણો જોવા મળે છે. બાળકો તંદુરસ્ત અને સ્વસ્થ રહે તે માટે વલસાડ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા રાષ્ટ્રીય કૃમિમુક્ત અઠવાડીયા અન્વયે શાળા અને આંગણવાડી કેન્દ્રોના સહકારથી કૃમિનાશક દવા નિઃશૂલ્ક આપવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં વલસાડ જિલ્લામાં 458321 બાળકોના લક્ષ્યાંક સામે ૪૪૬૫૭૯ બાળકોને આવરી લેવાતા 97.04 ટકા સિધ્ધિ મળી છે.

વલસાડ જિલ્લામાં 1 થી 5 વર્ષના બાળકોને આ દવાનો ડોઝ આંગણવાડી કેન્દ્ર પર અને 6 થી 19 વર્ષના બાળકોને આ દવા શાળા મારફતે કોવિડ ગાઈડલાઈન પ્રમાણે વિના મૂલ્યે આપવામાં આવી હતી. આંગણવાડી તથા શાળાએ ન જતા બાળકોને પણ આવરી લેવાયા હતા. કૃમિનાશક દવા આલ્બેન્ડાઝોલ નામની ગોળી બાળકો માટે સુરક્ષિત છે. આ દવા તમામ સ્તરે નિરીક્ષણ હેઠળ આપવામાં આવી હતી. બાળકોમાં કૃમિનાશક દવાના સીધા ફાયદા જેવા કે, લોહીની ઉણપમાં સુધારો, પોષણ સ્તરમાં સુધારો તથા ભવિષ્યના ફાયદા જેવા કે, આંગણવાડી કેન્દ્ર અને શાળામાં હાજરી, ગ્રહણશક્તિમાં સુધારો, ભવિષ્યમાં કાર્યક્ષમતામાં સુધારો, જીવનદરમાં વૃધ્ધિ તેમજ વાતાવરણમાં કૃમિની સંખ્યા ઓછી હોવાથી જનસમુદાયને લાભ મળશે. કૃમિની દવાના સેવનની સાથે સાથે કૃમિના ચેપથી બચવાના ઉપાયો પણ ખૂબ જ જરૂરી છે. જેમકે નખ નાના અને સાફ રાખવા, હંમેશા પીવાનું પાણી સ્વચ્છ રાખવુ, ખોરાકને ઢાંકીને રાખવો, ચોખ્ખા પાણીથી ફળો તથા શાકભાજી ધોવા, ઘરની આજુબાજુ સ્વચ્છતા રાખવી, પગરખા પહેરવા, જમ્યા પહેલા અને શૌચ પછી સાબુથી હાથ ધોવા વગેરે કાળજી રાખવી જોઈએ.

વલસાડ તાલુકામાં 89585ના ટાર્ગેટ સામે 89680 બાળકોને આવરી લેવાતા 100.1 લક્ષ્યાંક સિધ્ધ કરી લેવાયો છે. પારડી તાલુકામાં 49260ના લક્ષ્યાંક સામે 49059 બાળકોને દવા અપાતા 99.06 ટકા લક્ષ્યાંક હાસંલ કરાયો છે. વાપીમાં 72445 બાળકોના લક્ષ્યાંક સામે 71815 બાળકોને દવા આપવામાં આવતા 99.01 ટકા લક્ષ્યાંક સિધ્ધ કરાયો છે. ઉમરગામમાં 85685 બાળકો સામે 84683 બાળકો, ધરમપુરમાં 70260 બાળકો સામે ૭૦૨૪૯ અને કપરાડામાં 81073 બાળકો સામે 81093 બાળકોને આવરી લેવાતા 100 ટકા લક્ષ્યાંક સિધ્ધ કરાયો છે.