નવી દિલ્હી: શ્રમ મંત્રી ભૂપેન્દ્ર યાદવની સંસદમાં કબૂલાત કરી છે કે દેશમાં વર્ષ ૨૦૧૯થી ૨૦૨૧ વચ્ચેના કોરોનાકાળના ત્રણ વર્ષમાં અંદાજે ૧.૧૨ લાખ દૈનિક મજૂરોએ આત્મહત્યા કરી હોવાનું કેન્દ્ર સરકારે સંસદમાં બજેટ સત્ર દરમિયાન કહ્યું હતું. જેમાં વર્ષ ૨૦૧૯માં ૩૨,૫૬૩ રોજમદારો, વર્ષ ૨૦૨૦માં ૩૭,૬૬૬ કામદારો અને ૨૦૨૧માં ૪૨,૦૦૪ શ્રમીકોની આત્મહત્યાનો સમાવેશ કરવામાં આવ્યો છે.

લોકસભામાં કોંગ્રેસ સાંસદ એસયુ થિરુનાવુક્કારાસરીના એક સવાલના જવાબમાં શ્રમ મંત્રી ભુપેન્દ્ર યાદવે કહ્યું કે, કોરોના મહામારી દરમિયાન વર્ષ ૨૦૨૦થી ૨૦૨૧ સુધી કોરોના મહામારીના કારણે દેશભરમાં અનેક રાજ્યોમાં લોકડાઉન લાગુ હતું, જેથી દેશમાં બેરોજગારીની અસર વધુ હતી. તેનાથી

સૌથી વધુ રોજમદાર મજૂરો પર વિપરિત અસર થઈ હતી. વર્ષ ૨૦૨૦માં મોટાભાગે પ્રવાસી મજૂરો સહિત ૮,૭૦૦થી વધુ લોકોના મોત રેલવેના પાટા પર થયા હતા જ્યારે તે સમયે પ્રવાસી રેલવે સેવાઓ નહીવત્ હતી. યાદવે કહ્યું કે, વર્ષ ૨૦૧૯થી ૨૦૨૧ સુધીના ત્રણ વર્ષમાં રોજમદાર કામદારો સહિત કુલ ૪.૫૬ લાખ લોકોએ આત્મહત્યા કરી હતી.