ડોલવણ: આજરોજ શ્રી કોટલા મહેતા ચૌધરી પબ્લિક લાયબ્રેરી, ઉમરવાવદૂર ખાતે યુવા PI શ્રી કિરણભાઈ પાડવી(વાંસદા) વિદ્યાર્થીઓને બાહ્ય પરીક્ષાલક્ષી તૈયારીને અનુરૂપ માર્ગદર્શન સાથે કાનૂન, કાયદા તથા સામાજિક ક્ષેત્રે જાગૃત બને એ માટે પ્રશ્નોત્તરી સાથે યુવાવર્ગને ખૂબ સરસ માર્ગદર્શન પૂરું પાડ્યું.

Decision Newsને મળેલી જાણકારી લાયબ્રેરી હોલમાં મોટી સંખ્યામાં હાજર રહી વિદ્યાર્થી-યુવા વાચકોએ બે કલાકથી વધુ સેમિનારને માણ્યો હતો. સેમીનારની શરૂઆતમાં PI શ્રી કિરણભાઈ પાડવીનું સ્વાગત લાયબ્રેરીના સંયોજક જતિન ચૌધરીના હસ્તે પુસ્તક અર્પણથી કરાયું હતું. સાથે લાયબ્રેરીએ આવી નિયમિત તૈયારી કરી હાલે LRDના મેરિટમાં સ્થાન પામેલ એવા અમિત ચૌધરીના હસ્તે શ્રી કિરણભાઈ પાડવીને સાલ અર્પણ કરી સમ્માન કરવામાં આવ્યું હતું. આ સેમિનારની આભારવિધિ જતિન ચૌધરીએ કરી હતી તથા સમગ્ર કાર્યક્રમનું સંચાલન લાયબ્રેરી સંયોજક રોશન ચૌધરીએ કર્યું હતું.

અંતરિયાળ વિસ્તારમાં આવેલ શ્રી કોટલા મહેતા ચૌધરી પબ્લિક લાયબ્રેરી, ઉમરવાવદૂર ખાતે વરસાદી માહોલ વચ્ચે જ્ઞાનયજ્ઞ રૂપ કાર્યક્રમ સરસ રીતે યોજાયો તથા સ્થાનિક, ડોલવણ, ગડત લાયબ્રેરીના યુવાનો સાથે આસપાસના ગામનાં ખૂબ મોટી સંખ્યામાં યુવાનો જોડાયા જે ભવિષ્યમાં ચોક્કસ નૂતનદિશારૂપ અને માર્ગદર્શનરૂપ બની રહેશે એવી આશા વ્યક્ત કરી કાર્યક્રમમાં ઉપસ્થિત સૌનો લાયબ્રેરી તરફથી આભાર વ્યક્ત કરાયો હતો.