ખેરગામ: વલસાડ જિલ્લાના સ્થાનિક તંત્રની બેદરકારીને કારણે આવજાવ કરતા લાખો લોકોની જિંદગી બેહાલ બની છે. તેમાં ખેરગામ-વલસાડ રોડ તો અનેક વર્ષોથી બિસ્માર હાલતમાં છે. આને કારણે અનેક લોકોમાં આક્રોશની લાગણી જોવા મળી રહેલ છે.
આ બાબતે ખેરગામ,વલસાડના યુવાનો દ્વારા ખરાબ રોડ માટે પોલીસ પણ એટલી જ જવાબદાર છે અને જો પોલિસ દ્વારા નબળી ગુણવતાવાળા રોડને કારણે માર્ગ અકસ્માતમાં જાનમાલનું નુકસાન સહન કરનાર લોકોને ન્યાય મળે એ માટે કેટલા જવાબદાર વ્યક્તિઓ સામે પોલિસતંત્ર દ્વારા આજદિન સુધી પગલાં લીધા જેવા પ્રશ્નો ઉભા કરવામાં આવ્યા હતાં અને પોલિસતંત્ર જો જવાબદાર વ્યક્તિઓ સામે 3 દિવસમાં પગલાં લેવામાં નિષ્ફ્ળ જશે તો પોલિસ વિરુદ્ધ ફરજ પર બેદરકારી બદલ કાયદાકીય કાર્યવાહી કરવાની ફરજ પડશે એવી લેખિત ચીમકી પોલિસ તંત્ર સામે ઉચ્ચારી હતી.
આ બાબતે ખેરગામના જાણીતા યુવા તબિબ ડો. નિરવ ભુલાભાઇ પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યુ કે ગત અઠવાડીયે અમારા ખેરગામના યુવાનો દ્વારા વલસાડ જિલ્લા કલેકટર, માર્ગ બાંધકામ વિભાગને ખરાબ રોડ તાકીદે સમારવા લેખિતમાં રજુઆત કરી હતી. જવાબદાર અધિકારી બે જ દિવસમાં સમારકામ કરાવી આપવાની બાંહેધારી આપેલ હતી. પરંતુ આજદિન સુધી તંત્ર દ્વારા રીપેરીંગ કામ કરવામાં આવ્યું નથી. અત્યાર સુધી આ વિસ્તારની ભોળી અને સરળ પ્રજાની ભલમનસાઈને જાડી ચામડીના નફ્ફટ તંત્ર દ્વારા હંમેશા નબળાઈ સમજી લેવામાં આવી છે. એના લીધે અનેક નિર્દોષ લોકોએ મોટાપ્રમાણમાં પોતાના જાનમાલનું નુકસાન સહન કરવાની નોબત આવી છે.
અત્યાર સુધીમાં માર્ગ અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવનાર વ્યક્તિઓને ન્યાય મળે એ માટે ખરાબ ગુણવતાવાળા રોડ બનાવનાર વ્યક્તિઓ વિરુદ્ધ પોલિસતંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી છે તેની વિગતો અમે લેખિતમાં માંગી છે. એક અધિકારી દ્વારા ખરાબ રોડની રજૂઆત કરવા ગયેલા અમારી ટીમના સભ્યોને હાસ્યાસ્પદ જવાબ આપતાં જણાવેલ કે ઘણા વર્ષોથી પૂરતી ગ્રાંટ જ નથી આવી એટલે સરખા રોડ નથી બનાવી શકાયા.
તો એમને અમારો સવાલ છે કે ગુજરાત રાજ્યના નાણાંમંત્રીશ્રી કનુભાઈ દેસાઈ પોતે વલસાડ જિલ્લામાંથી આવતા હોય અને આખા રાજ્યમાં નાણાંમઁત્રી તરીકે દરેકને ફંડ આપતાં હોય તો પોતાના જ જિલ્લાને રોડ બનાવવા માટે ફંડ નહીં આપીને અન્યાય કરતા હોય એ વાત ગળે ઉતરે એવી નથી. જો પોલિસતંત્ર પોતાની ફરજ પર બેદરકારી દાખવી જવાબદાર વ્યક્તિઓ સામે દિન 3માં યોગ્ય કાર્યવાહી નહિ કરે તો અનેક સામાન્ય લોકોની જિંદગીમાં સુખાકારી લાવવા માટે સંભવિત ભ્રસ્ટાચાર આચરી નબળી ગુણવતાવાળા રોડ બનાવી બેહાલી લાવનાર વ્યક્તિઓ સામે રોડ પર ઉતરી ટૂંક સમયમાં ઉગ્ર આંદોલન કરવા પડશે જેની તંત્ર નોંધ લે.

