કર્ણાટકમાં સોમવારે એક કાર્યક્રમમાં ખેડૂત નેતા રાકેશ ટિકૈત અને યુદ્ધવીર સિંહ પર કાળી શાહી ફેંકવામાં આવી હતી. ટિકૈત અને યુદ્ધવીર સિંહ બેંગલુરુમાં એક પ્રેસ કોન્ફરન્સમાં સ્થાનિક ન્યૂઝ ચેનલના સ્ટિંગ ઓપરેશનના વીડિયો પર ખુલાસો કરી રહ્યા હતા, ત્યારે તેમના પર કાળી શાહી ફેંકવામાં આવી હતી. એક સ્ટિંગ ઓપરેશનમાં જ્યાં કર્ણાટકના ખેડૂત નેતા કોડિહલ્લી ચંદ્રશેખર પૈસા માગતા ઝડપાયા હતા.તેના વિષે માહિતી આપતા હતા.

રાકેશ ટિકૈત અને યુદ્ધવીર સિંહ પ્રેસને સંબોધતા સ્પષ્ટતા કરી રહ્યા હતા કે તેઓ આ લાંચ લેવામાં શામેલ નથી અને ખેડૂત નેતા કોડીહલ્લી ચંદ્રશેખર સામે પગલાં લેવા જોઈએ. આ દરમિયાન કેટલાક લોકોએ ઝઘડો શરૂ કરી દીધો અને ખેડૂત નેતાઓ પર કાળી શાહી ફેંકી દીધી. લોકોએ ખુરશીઓ પણ ફેંકવાનું શરૂ કર્યું. ત્યારે આ ઘટનાને લઇ રાકેશ ટિકૈતે કર્ણાટકની ભાજપ સરકારને જવાબદાર ઠેરવી છે.

ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈતે શાહી ફેંકવાને લઈને કર્ણાટકની ભાજપ સરકાર પર હુમલો કર્યો છે અને ટિકૈતે કહ્યું કે સ્થાનિક પોલીસ તરફથી અહીં કોઈ સુરક્ષા ઉપલબ્ધ કરાવવામાં આવી નથી. આ સરકારની મીલીભગતથી કરવામાં આવ્યું છે તેવો આરોપ ખેડૂત નેતા રાકેશ ટિકૈતે લગાવ્યો છે.

ખેડૂત નેતા રાકેશ ટિકૈત પર શાહી ફેંકાયા બાદ ત્યાં અફરાતફરી મચી ગઈ. કેટલાક લોકો એકબીજા પર ખુરશીઓ ફેંકતા જોવા મળ્યા. જ્યારે બેકગ્રાઉન્ડમાં મોદી-મોદીનો અવાજ પણ સંભળાય છે.