IPL-2022ના ફાઇનલ મુકાબલાની પ્રશંસકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ મુકાબલો 29 મે ના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. BCCI તરફથી દર્શકોની ક્ષમતાને લઇને જે પ્રતિબંધ લગાવ્યા હતા તેને હટાવી દેવામાં આવ્યા છે. એટલે કે 1 લાખ પ્રશંસકો સ્ટેડિયમમાં મેચ જોવા પહોંચશે. આઈપીએલ-2022ની શરૂઆત 26 માર્ચે થઇ હતી. કોરોનાને જોતા BCCIએ લીગ રાઉન્ડની 70 મેચો મહારાષ્ટ્રના 4 સ્થળો પર કરાવવાનો નિર્ણય કર્યો હતો.

ટી-20 લીગના નોકઆઉટ મુકાબલા કોલકાતા અને અમદાવાદમાં રમાશે. ક્વોલિફાયર-1 અને એલિમિનેટર મુકાબલો 24 અને 25 મે ના રોજ કોલકાતાના ઇડન ગાર્ડન્સ પર રમાશે. જ્યારે 27 મે ના રોજ ક્વોલિફાયર-2 અને ફાઇનલ મુકાબલો અમદાવાદમાં રમાશે. ગત દિવસોમાં આ મેચની ટિકિટોનું વેચાણ શરૂ કરવામાં આવ્યું હતું. ફાઇનલ મેચમાં હજુ થોડા દિવસોની વાર છે પણ ફાઇનલની ટિકિટ વેચાઇ ગઈ છે. BCCIના ઓફિશિયલ ટિકિટ પાર્ટનર બુકમાય શો પર ફાઇનલ મેચની ટિકિટ બુક કરવા જાવ તો તેના પર સોલ્ડ આઉટ લખેલું જોવા મળી રહ્યું છે. જોકે નોકઆઉટની અન્ય મેચોની ટિકિટ હજુ મળી રહી છે.

આઈપીએલ ફાઇનલની સૌથી મોંઘી ટિકિટ 65 હજાર રૂપિયાની છે. જ્યારે સૌથી સસ્તી ટિકિટ 800 રૂપિયાની છે. કોરોનાના કારણે લોકો સ્ટેડિયમમાં મેચ જોવા માટે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે. હવે જ્યારે બધા પ્રતિબંધો હટી ગયા છે ત્યારે ફાઇનલમાં મોટી સંખ્યામાં પ્રશંસકો હાજર રહેશે. બે વર્ષ પછી પ્રથમ વખત સ્ટેડિયમ પુરી ક્ષમતા સાથે ભરાશે. છેલ્લી બે સિઝનમાં કોરોના પ્રોટોકોલના કારણે મેચો પ્રશંસકો વગર કે ઓછા દર્શકોને જ સ્ટેડિયમમાં આવવાની મંજૂરી મળી હતી. હવે છૂટછાટ આપવામાં આવી છે, ત્યારે દર્શકોમાં પણ ખુશી જોવા મળી રહી છે.