ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને કેન્દ્રની મોદી સરકારને કહ્યું કે કોલ ઈન્ડિયા પાસે ઝારખંડનું 1.36 લાખ કરોડ રૂપિયા લેણું છે જે રાજ્યને હજુ સુધી મળ્યા નથી. જો આ રકમ ઝડપથક્ષ ચૂકવવામાં નહીં આવે તો કોલસા-ખનીજની ખાણ પર તાળાં લગાવી દેવામાં આવશે.

હેમંત સોરેને સવાલ ઉઠાવ્યો કે કેન્દ્રને હો, કુડુખ, મુંડારીને આઠમી યાદીમાં સામેલ કરવાનો પ્રસ્તાવ મોકલ્યો હતો, સરના ધર્મ કોડનો પ્રસ્તાવ મોકલ્યો હતો તેનું શું થયું ? અને ભાજપના નેતાઓ કહે છે કે મુખ્યમંત્રીએ પેન્શન, રાશન વગેરે ઉપર ધ્યાન આપવાની જરૂર નથી ત્યારે મને તેના આ વિચાર ઉપર હસવું આવે છે. આ લોકો ઝારખંડની હકીકતથી બહુ જ દૂર થઈ ગયા છે જેનો હવે મને ખ્યાલ આવી રહ્યો છે. આજે સરકારને ગરીબોને એક હજાર રૂપિયા પેન્શન, દસ રૂપિયામાં ધોતી-સાડી, એક રૂપિયા કિલો અનાજ આપવું પડે છે જેના માટે જવાબદાર વિપક્ષના જ લોકો છે.ભાજપે સત્તા સુખ ભોગવતી વખતે ગરીબો માટે કશું જ કર્યું નથી.

પાછલી સરકારે મહિલા સશક્તિકરણ માટે નહીં પરંતુ ઉદ્યોગપતિઓ માટે એક રૂપિયામાં 50 લાખની સંપત્તિ આપી દીધી હતી. અમારી પ્રાથમિકતામાં 50 લાખની સંપત્તિ ધરાવતાં લોકો નહીં બલ્કે હાડકા વેચનારી 25 હજાર મહિલાઓ છે. તેને મુખ્ય ધારામાં લાવવા જ મહિલા સશક્તિકરણ છે.મુખ્યમંત્રીએ મોંઘવારી ભડકવા પાછલ કેન્દ્રને જ જવાબદાર ઠેરવી છે અને ચિંતા વ્યક્ત કરી છે કે તેનાથી ગરીબી, ભ્રુણ હત્યા, બાળવિવાહ જેવી કુપ્રથાઓ વધશે. પહેલાં 15થી 20 હજાર કમાનારા પણ પોતાના બાળકોને ભણાવવાનું સ્વપ્ન પૂરું કરતા હતા પરંતુ હવે તો પેટ ભરવું જ મોટો પડકાર બની ગયો છે.