“આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત સમગ્ર ઓક્ટોબર માસ દરમિયાન “સ્વચ્છ ભારત” અન્વયે વિવિધ સ્વચ્છતાલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત તાપી જિલ્લામાં કલેકટર એચ.કે.વઢવાણિયાના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ વિભાગો દ્વારા સ્વચ્છતા અંગે લોકોજાગૃતિના કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે.

જેમાં આજરોજ ગાંધી વિદ્યાપીઠ વેડછી ખાતે સ્વચ્છતા, પર્યાવરણ બચાવો, પાણી બચાવો, વ્યસનમુક્તિ જેવા વિષયો ઉપર ચિત્રકામનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઇ પોતાના મૌલિક વિચારો, સંદેશાઓ અને સુત્રો લખી સુંદર ચિત્રો દ્વારા રજુ કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે, “ક્લિન ઇન્ડીયા” પ્રોગ્રામ અંતર્ગત રાજયના તમામ જિલ્લામાં ગ્રામ્ય અને શેહરી કક્ષાએ તા.૩૧મી ઓક્ટોબર ૨૦૨૧ સુધી વિવિધ કાર્યક્રમો કરવાનું નક્કી કરેલ છે. આ મિશનનો મુખ્ય હેતુ સ્વચ્છતા પ્રત્યે વધુ સભાનતા કેળવાય, સ્વચ્છતા દરેક વ્યક્તિના જીવનનો અભિન્ન ભાગ બની રહે તે અર્થે સ્વચ્છતા સંબંધી લોકો જાગૃતિ અને સકારાત્મક વર્તનને પ્રોત્સાહન આપવાનો છે. જે અંતર્ગત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખાસ અભિયાન ચલાવીને જાગૃતિ ફેલાવવા સઘન પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.