ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય સંચાલિત નહેરુ યુવા કેન્દ્ર વલસાડ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ફ્રિડમ રન અને ક્લીન ઇન્ડિયા રનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રનની શરૂઆત નહેરુ યુવા કેન્દ્ર કચેરીથી પાલિહિલ સુધી કરવામાં આવી હતી અને પાલીહિલથી આવતા ક્લીન ઇન્ડિયા રન કરવામાં આવ્યું હતું.

વલસાડ ધારાસભ્ય ભરતભાઇ પટેલે જણાવ્યું હતું કે, રાષ્ટ્રપિતા પૂ. મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિના ભાગરૂપે સમગ્ર દેશમાં અનેકવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. મહાત્મા ગાંધીજીના જીવનમાંથી પ્રેરણા લઈ સત્ય-અહિંસાના માર્ગે ચાલવું જોઈએ. પોતાના, ગામ, ઘર અને ફળિયામાં સ્વચ્છતા જાળવવા અનુરોધ કરતાં કચરો કચરાપેટીમાં જ નાખી સ્વચ્છ ભારત અભિયાનમાં સૌના સહયોગની અપેક્ષા તેમણે વ્યક્ત કરી હતી.

આ કાર્યક્રમ દરમ્યાન જિલ્લા યુવા અધિકારી શ્રી સત્યજીત સંતોષે નહેરુ યુવા કેન્દ્ર આયોજિત વિવિધ કાર્યક્રમોની વિસ્તૃત જાણકારી આપતાં જણાવ્યું હતું કે, નહેરુ યુવા કેન્દ્ર દ્વારા તા. ૧ થી ૩૦ ઓક્ટોબર સુધી ક્લીન ઇન્ડિયા અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજી સ્વચ્છતાનો સંદેશો ગામે-ગામ પહોંચાડવાના પ્રયાસો હાથ ધરાશે.