હિમાચલ પ્રદેશનાં કિન્નૌરમાં ભુસ્ખલન થતાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. જેમાં હાલ મૃત્યુઆંક 13 પર પહોંચ્યો છે. ITBP અને NDRF સહિત અન્ય એજન્સીઓ દ્વારા રાહત અને બચાવ કામગીરી કરવામાં આવી રહી છે.

અત્યાર સુધીમાં 13 જેટલા ઘાયલ લોકોને પણ રેસ્ક્યૂ કરી બહાર કાઢવામાં આવ્યા છે. કિન્નૌરના નિગોસારી અને ચૌરાની વચ્ચે નેશનલ હાઈવે પર એક મોટો પહાડ ધસી ગયો હતો. જેના પરિણામે આ રસ્તેથી પસાર થતો વાહન વ્યવહાર ખોરવાયો હતો. હિમાચલ પ્રદેશની એક બસ કે જેમાં કેટલાક યાત્રીઓ સવાર હતા. તેનો અકસ્માત થયો હતો. જેમાં 50 થી 60 યાત્રીઓ સવાર હતા. આ યાત્રીઓ દટાયા હોવાની શક્યતા છે. જોકે આ બસના ડ્રાયવર સહિત બે લોકોને બહાર કાઢવામાં આવ્યા છે.

આ સાથે ટ્ર્ક અને કેટલાક નાના વાહનો પણ આ પહાડ નીચે દટાય છે. ઘટના સ્થળ પર હાલ બચાવ કાર્ય ચાલી રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હિમાચલ પ્રદેશનાં મુખ્યમંત્રી જયરામ ઠાકુર સાથે ફોન પર વાતચીત કરીને આ દુર્ઘટના અંગેની જાણકારી મેળવી હતી. તેમજ રાહત-બચાવ કાર્યમાં શક્ય તમામ મદદની ખાતરી આપી છે.

ગૃહમંત્રી અમિત શાહે પણ હિમાચલ પ્રદેશનાં મુખ્યમંત્રી સાથે ફોન પર વાતચીત કરી હતી. હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુરે જણાવ્યું હતું કે, રાહત કાર્યને ઝડપી બનાવવા માટે હેલિકોપ્ટરની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.