કોરોના વૈશ્વિક મહામારીમાં પ્રવાસી મજૂર, બેરોજગાર માટે રોજગાર અને જરૂરિયાતમંદને બને એટલી મદદ પહોંચાડનાર સોનુ સૂદ હવે બાળકોના ભવિષ્યને સુરક્ષિત કરવાના પ્રયત્નમાં લાગી ગયો છે. સોનુએ એક સ્કોલરશિપ એપ સ્કોલિફાઈ લોન્ચ કરી છે. આ એપ લોન્ચના ન્યૂઝ સોનુએ ટ્વિટર મારફતે આપ્યા છે. તેણે જણાવ્યું કે આ એપ મારફતે યુઝર્સ સ્કોલરશિપ જીતી શકે છે, આ એપમાં 100થી વધુ અને કરોડો રૂપિયાની વેરિફાઇડ સ્કોલરશિપ છે.જે વિદ્યાર્થીઓને ભણવા માટે સહાયક બની રહશે.

       આ અગાઉ ગયા સપ્તાહમાં જ સોનુએ તેની માતા સરોજના નામ પર ગરીબ બાળકો માટે સ્કોલરશિપની જાહેરાત કરી હતી. તેના માટે 10 દિવસમાં એન્ટ્રી પણ મગાવી હતી. આ માટે અમુક શરતો પણ નિર્ધારિત કરવામાં આવી હતી. સોનુએ કહ્યું હતું કે જેની વાર્ષિક આવક બે લાખ રૂપિયાથી ઓછી છે, તે સ્કોલરશિપ માટે અપ્લાય કરી શકે છે. બસ તેમનો એકેડેમિક રેકોર્ડ સારો હોવો જોઈએ. આ માટે સોનુએ તેની પ્રોફેસર માતા સરોજ સૂદના નામથી સ્કોલરશિપ શરૂ કરવા માટે દેશભરની યુનિવર્સિટી સાથે ટાઈઅપ કરાવ્યું છે.

      સોનુએ જુલાઈના છેલ્લા અઠવાડિયા દરમ્યાન ‘પ્રવાસી રોજગાર એપ’ લોન્ચ કરી હતી. આ પ્રવાસીઓને નોકરી શોધવા માટેની જરૂરી જાણકારી અને યોગ્ય લિંક આપશે. આ એપ મારફતે 500થી વધુ કંપનીઓમાં નોકરી અવેલેબલ છે એવું દેખાડી રહ્યા છે. તેની શરૂઆત 23 જુલાઈથી થઇ હતી. આ માટે ચોવીસ કલાક હેલ્પલાઇન સાથે દિલ્હી, મુંબઈ, બેંગ્લોર, હૈદરાબાદ, કોઈમ્બતૂર, અમદાવાદ અને તિરુવનંતપુરમ સહિત 7 શહેરમાં માઈગ્રેશન સહાયતા કેન્દ્ર  પણ સ્થાપિત કરાવ્યા છે.

      લોકડાઉનથી અત્યાર સુધીમાં સોનુ સૂદ ઘણા કામ કર્યા છે. તેમણે લોકડાઉન દરમિયાન આખા દેશભરના લોકોની દરેક સંભવ મદદ કરી હતી. મહારાષ્ટ્ર પોલીસને કોવિડ સુરક્ષા કિટ, પૂર પ્રભાવિતો માટે ઘર, ઓનલાઇન એજ્યુકેશન માટે સ્માર્ટ ફોન, કોઈનું પેટનું તો કોઈનું પગનું ઓપરેશન કરાવ્યું. આ તો અમુક ઉદાહરણ છે, બાકી તો સોનુએ ઘણા ભલાઈના કામ કર્યા જાણમાં જ છે.