વાંસદા: નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના મોટી ભમતી ગામના અને ‘પ્રગતિ સખી મંડળ’ના પ્રમુખ હેતલબેન સંજયભાઈ પટેલ તેમજ મંત્રી સોનલબેન કિરણભાઈ પટેલે પોલીસ પ્રશાસન સામે ગંભીર આક્ષેપો કરતા ભારે ચકચાર મચી જવા પામી છે.
પીડિત મહિલાના જણાવ્યા અનુસાર, તેમની સાથે ઘટેલી એક ઘટના અંગે અગાઉ નવસારી જિલ્લા કલેક્ટરશ્રીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆતના સંદર્ભમાં વાંસદા પોલીસ સ્ટેશનના ચોસલા સાહેબે તેઓને નિવેદન આપવા માટે પોલીસ સ્ટેશન બોલાવ્યા હતા. મહિલાએ આક્ષેપ કર્યો છે કે જ્યારે તેઓ નિવેદન આપવા પહોંચ્યા ત્યારે ત્યાં હાજર વાંસદા પોલીસ સ્ટેશનના જમાદાર દિલીપભાઈ પટેલનું વર્તન અને દાનત અત્યંત શંકાસ્પદ અને અસભ્ય હતી. નિવેદન નોંધતી વખતે જમાદારના શર્ટના બટન પણ ખુલ્લા હતા, જેના કારણે હું ભારે શરમ અને અસ્વસ્થતા અનુભવી રહી હતી. આમ છતાં મહિલાએ હિંમત રાખીને પોતાનું નિવેદન નોંધાવ્યું હતું. મારા પર વાંસદા પોલીસ સ્ટેશનના જમાદાર દિલીપ પટેલની મારા પર ખરાબ નિયત હતી.
આ ઉપરાંત, મહિલાએ વધુમાં ગંભીર આરોપ લગાવતા જણાવ્યું હતું કે માત્ર 10 મિનિટનું કામ હોવાનું કહીને તેમને સાંજના 4: 00 વાગ્યાથી રાત્રે 10:00 વાગ્યા સુધી પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખવામાં આવ્યા હતા. મહિલાને કોઈ અણબનાવ કે ષડયંત્ર થવાનો ડર લાગતાં તેમણે તાત્કાલિક પોતાના પુત્રને ફોન કરીને જાણ કરી હતી. મહિલા રજૂઆતકર્તાઓએ આ સમગ્ર મામલે સરકારશ્રી તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓ પાસે ન્યાયની માંગ કરી છે અને દોષિત કર્મચારીઓ સામે કડક પગલાં ભરવાની અપીલ કરી છે.











