પારડી: તાજેતરમાં આવેલી કુદરતી આપદાના કારણે પારડી તાલુકાના અંબાચ ગામમાં અનેક પરિવારો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. પૂરના પાણી ઘરોમાં ઘૂસી જતાં અનેક વિદ્યાર્થીઓની પુસ્તકો, નોટબુક અને સ્કૂલ બેગ સહિતની શૈક્ષણિક સામગ્રી નષ્ટ થઈ ગઈ હતી. આ મુશ્કેલ સમયમાં વિદ્યાર્થીઓના અભ્યાસ પર કોઈ વિપરીત અસર ન પડે તેવા ઉમદા હેતુ સાથે ભારતીય જનતા યુવા મોરચા દ્વારા અંબાચ ગામમાં સેવા કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું.
આ સેવા યજ્ઞ અંતર્ગત અંબાચ ગામની પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા 125થી વધુ પૂરગ્રસ્ત બાળકોને જરૂરી શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. શૈક્ષણિક સામગ્રી પુનઃ પ્રાપ્ત થતાં બાળકોના ચહેરા પર ખુશી જોવા મળી હતી અને તેમના અભ્યાસને પુનઃ નવી ગતિ મળી છે. આ પ્રસંગે જિલ્લા પંચાયત સભ્ય શ્રીમતી અદિતિ પટેલ, જિલ્લા પંચાયત સભ્ય શ્રી સ્નેહલ પટેલ, ભારતીય જનતા યુવા મોરચા વલસાડ જિલ્લા મહામંત્રી શ્રી મયંક પટેલ, પારડી તાલુકા યુવા મોરચા પ્રમુખ શ્રી રવિ પટેલ, વલસાડ તાલુકા યુવા મોરચા પ્રમુખ શ્રી ઋષિરાજ ઠાકોર તથા જિલ્લા મહામંત્રી શ્રી ભાગ્યેશ પટેલ સહિત યુવા મોરચાના અન્ય હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન જિલ્લા યુવા મોરચાના મહામંત્રી મયંક પટેલે જણાવ્યું હતું કે, કોઈપણ કુદરતી કે માનવસર્જિત આપત્તિના સમયે સમાજના છેવાડાના માનવી સુધી પહોંચીને તેની સેવા કરવી એ ભારતીય જનતા યુવા મોરચાની મુખ્યાત્મક પ્રાથમિકતા રહી છે. તેમણે ઉમેર્યું હતું કે ભવિષ્યમાં પણ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ અને પીડિત પરિવારોને શક્ય તમામ મદદ પૂરી પાડવામાં આવશે.











