જિનેવા: સંયુક્ત રાષ્ટ્ર (UN)ની આદિવાસી અધિકાર સંબંધિત પરિષદમાં બાંસવાડા-ડુંગરપુર લોકસભા સાંસદ રાજકુમાર રોતએ ભારતના આદિવાસી સમુદાયોને દેશના મૂળ સ્વદેશી (Indigenous) લોકો તરીકે આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા આપવાની મજબૂત માંગ ઉઠાવી છે.
પોતાના સંબોધનમાં રાજકુમાર રોતે જણાવ્યું કે ભારતમાં આશરે 14 કરોડથી વધુ અનુસૂચિત જનજાતિના લોકો 705થી વધુ વિવિધ જનજાતિઓમાં વસે છે અને તેઓ જ દેશના વાસ્તવિક મૂળ નિવાસી છે. તેમણે આ સમુદાયોના અધિકારો, ઓળખ અને અસ્તિત્વના મુદ્દાને વૈશ્વિક મંચ પર મૂકતાં કહ્યું કે આદિવાસીઓનો અવાજ હવે આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચી રહ્યો છે. રાજકુમાર રોતે પોતાના વક્તવ્યમાં સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ માર્કંડેય કાટજુના વર્ષ 2011ના અવલોકનનો પણ હવાલો આપ્યો. તેમણે ભીલ આદિવાસી સમાજના પ્રતિનિધિ તરીકે આ વૈશ્વિક મંચ પર વાત રજૂ કરવાની ક્ષણને ગૌરવપૂર્ણ ગણાવી.
“આદિવાસી સમાજની ઓળખ, અધિકાર અને અસ્તિત્વનો અવાજ હવે વૈશ્વિક મંચ સુધી પહોંચ્યો છે,” એમ તેમણે ભારપૂર્વક કહ્યું. આ વક્તવ્યને આદિવાસી સમુદાયોમાં સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે. ભારતમાં આદિવાસીઓને મૂળ નિવાસી તરીકે આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વીકૃતિ મળે તો તેમના અધિકારોના સંરક્ષણ અને વિકાસમાં મદદરૂપ થઈ શકે તેમ છે.











