સોનમ વાંગચુક છેલ્લા લગભગ 17/18 દિવસથી વિદ્યાર્થીઓના પેપર લીકના મુદ્દે અનશન પર બેઠા છે. પણ સૌથી દુઃખની વાત એ છે કે આટલા દિવસ થઈ ગયા છતાં સરકાર તેમની સાથે બેસીને વાત કરવા પણ તૈયાર નથી દેખાતી. મતભેદ બધાને હોઈ શકે, પણ લોકશાહીમાં વાતચીત બંધ થઈ જાય તો એ લોકશાહી માટે સારો સંકેત નથી.

આજે પ્રશ્ન માત્ર પેપર લીકનો નથી. પ્રશ્ન એ છે કે દેશ માટે જીવન ખપાવી દેનારા માણસની વાત સાંભળવાની પણ આપણી પાસે ઇચ્છા છે કે નહીં ? જો આ અનશન લાંબું ચાલશે અને ભગવાન ન કરે તેમના જીવને કંઈ થાય, તો આપણે માત્ર એક માણસને નહીં, પરંતુ દેશના એવા હીરાને ગુમાવી બેસીશું, જે સાચા અર્થમાં Innovator, Scientist, Environmentalist, Education Reformer અને Problem Solver છે.

આ એ જ વ્યક્તિ છે જેણે Ice Stupa બનાવીને બરફમાંથી પાણીનો ઉકેલ આપ્યો, ભારતીય સૈનિકો માટે Solar Heated Military Tent બનાવ્યા, લદ્દાખમાં Passive Solar Buildings બનાવી બતાવ્યાં કે ઇંધણ વગર પણ ગરમી મેળવી શકાય. SECMOL જેવા શિક્ષણના અનોખા મોડેલ ઊભા કર્યા, LiFi Technology, ઓછા ખર્ચે Greenhouses, Rocket Stoves અને બીજા ઘણા એવા પ્રયોગો કર્યા જેનો ફાયદો માત્ર લદ્દાખને નહીં, પરંતુ આખા દેશને થઈ શકે.

આટલું જ નહીં, તેમણે લદ્દાખના આદિવાસીઓના હક્ક માટે પણ વર્ષોથી લડત લડી છે. લદ્દાખને Sixth Schedule હેઠળ બંધારણીય સુરક્ષા મળે, જેથી ત્યાંના આદિવાસીઓની જમીન, જળ, જંગલ, સંસ્કૃતિ અને રોજગાર સુરક્ષિત રહે એ માટે સતત અવાજ ઉઠાવ્યો છે. તેમની આ લડાઈએ સમગ્ર દેશના આદિવાસી સમાજને પણ પોતાના હક્ક માટે વધુ મજબૂત રીતે લડવાની પ્રેરણા આપી છે. Fifth Schedule વિસ્તારમાં રહેતા લાખો આદિવાસીઓ માટે પણ આ ચર્ચા મહત્વની છે, કારણ કે તે આદિવાસી અધિકારોને લઈને દેશવ્યાપી જાગૃતિ અને દબાણ ઊભું કરે છે.

આપણા દેશમાં વેપારીઓની કમી નથી. મોટા મોટા બિઝનેસમેન પણ ઘણા છે. પરંતુ સાચા અર્થમાં નવી શોધ કરનારા લોકો કેટલા છે? મોટા ભાગે લોકો કોઈનો બિઝનેસ મોડેલ જોઈને તેને થોડો બદલાવીને આગળ વધે છે. એમાં કંઈ ખોટું નથી. પરંતુ Original Innovation કરનારા લોકો બહુ જ ઓછા હોય છે. આવા લોકો દેશની સૌથી મોટી સંપત્તિ હોય છે. કરોડો રૂપિયા કમાવનાર ઘણા મળી જશે, પરંતુ દેશનું ભવિષ્ય બદલનારા લોકો ગણતરીના જ હોય છે.

આજે જો આપણે આવા વ્યક્તિને માત્ર એટલા માટે ગુમાવી દઈએ કે સરકાર અને સમાજ સમય કાઢીને તેમની વાત પણ સાંભળી ન શક્યા, તો એ આપણા દેશ માટે શરમની વાત હશે. પછી આપણે ગર્વથી કહીએ કે ભારત વિશ્વગુરુ બનશે, Innovationમાં આગળ વધશે, Researchમાં નંબર વન બનશે—તો એ વાતો ખાલી ભાષણો જ રહી જશે.

સરકાર સાથે સહમત થવું કે અસહમત થવું એ અલગ વાત છે. પરંતુ જે વ્યક્તિએ આખું જીવન દેશ, પર્યાવરણ, શિક્ષણ, આદિવાસી સમાજ અને નવી શોધો માટે આપ્યું હોય, તેની સાથે ચર્ચા કરવા પણ તૈયાર ન થવું યોગ્ય નથી.

જો આપણે આવા માણસને બચાવી પણ ન શકીએ, તો એ આ દેશના લોકો તરફથી થયેલી સૌથી મોટી ગદ્દારી ગણાશે. કારણ કે આપણે એવા વ્યક્તિને ગુમાવી બેસીશું, જે રોજ રોજ જન્મતા નથી. સોનમ વાંગચુક જેવા લોકો કોઈ એક રાજ્યની નહીં, આખા દેશની સંપત્તિ હોય છે. આવા લોકો બચશે તો દેશ આગળ વધશે. જો આવા લોકોને જ આપણે ગુમાવી દઈએ, તો નુકસાન માત્ર એક વ્યક્તિનું નહીં, પરંતુ આખા દેશના ભવિષ્યનું હશે.

હજી પણ સમય ગયો નથી. સરકારે અહંકાર નહીં, સંવાદ પસંદ કરવો જોઈએ. કારણ કે જ્યારે ઇતિહાસ લખાશે ત્યારે લોકો એ નહીં યાદ રાખે કે સત્તામાં કોણ હતું; લોકો એ યાદ રાખશે કે દેશના એક સાચા Innovatorને બચાવવા માટે કોણ ઊભું રહ્યું અને કોણ મૌન રહ્યું.

BY-અલ્પેશ પટેલ


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here