માંડવી: ગતરોજ માંડવી તાલુકાના પ્રાકૃતિક સૌંદર્યના ખજાના ઈસર ડેમ ખાતે યુવાઓએ સ્વચ્છતા અને પર્યાવરણ જાગૃતિનો એક અનોખો સંદેશ આપતો સફાઈ અભિયાન યોજ્યું હતું. આજુબાજુના ગામોના મોટી સંખ્યામાં યુવકો-યુવતીઓએ આ અભિયાનમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈને તેને સફળ બનાવ્યું.
યુવાઓએ ડેમના વિસ્તારમાં અને તેની આસપાસ વેરણછેરણ પડેલા પ્લાસ્ટિકના કચરા, તૂટેલા કાચના ટુકડા તેમજ અન્ય પ્રકારની અશુદ્ધિઓને એકત્રિત કરીને સફાઈ કાર્ય હાથ ધર્યું. કેટલાક યુવાનોએ કચરાને વિવિધ વર્ગોમાં (જેમ કે રિસાયકલેબલ અને નોન-રિસાયકલેબલ) વિભાજિત કરીને યોગ્ય નિકાલ માટેની તૈયારી પણ કરી.
આ કાર્યક્રમમાં નિકુંજ ચૌધરી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે યુવાઓના ઉત્સાહ અને સમાજ તેમજ પર્યાવરણ પ્રત્યેની તેમની જવાબદારીની પ્રશંસા કરતાં જણાવ્યું કે, “આવા પ્રયાસોથી જ સમાજમાં સકારાત્મક બદલાવ આવે છે.” તેમણે વધુમાં કહ્યું કે, “ઈસર ડેમ માત્ર પ્રવાસન સ્થળ નથી, પરંતુ આપણા પર્યાવરણનો મહત્વપૂર્ણ ભાગ છે. તેને સ્વચ્છ અને સુરક્ષિત રાખવાની જવાબદારી આપણે બધાની છે.”
નિકુંજ ચૌધરીએ અહીં આવતા પ્રવાસીઓ અને સ્થાનિક લોકોને અપીલ કરી કે તેઓ પ્લાસ્ટિક અને અન્ય કચરો ગમે ત્યાં ન ફેંકે અને “Use & Throw” સંસ્કૃતિને ટાળે. આ અભિયાન માત્ર સફાઈ સુધી મર્યાદિત નહોતું, પરંતુ તેના દ્વારા યુવાઓએ પર્યાવરણ સંરક્ષણ અને સ્વચ્છતાનો મજબૂત સંદેશ પણ આપ્યો છે. આ અભિયાન યુવા શક્તિના માધ્યમથી પર્યાવરણ સુરક્ષાનું ઉત્તમ ઉદાહરણ બની રહ્યું છે.











