કપરાડા: વર્તમાન સમયમાં દીકરીઓ પોતાની સુરક્ષા જાતે કરી શકે અને આત્મવિશ્વાસ સાથે સંકટોનો સામનો કરી શકે તેવા ઉમદા હેતુથી, સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત સરકારી માધ્યમિક શાળા, વાવર ખાતે ‘રાણી લક્ષ્મીબાઈ આત્મરક્ષા પ્રશિક્ષણ’ ના વર્ગોનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.
Decision News ને મળેલી માહિતી મુજબ આ તાલીમ કાર્યક્રમમાં ધોરણ-9 ની વિદ્યાર્થીનીઓને ટ્રેનર કેયુરભાઈ દ્વારા સ્વ-બચાવની વિવિધ ટેકનિકો અને કરાટેના દાવપેચનું સઘન પ્રશિક્ષણ આપવામાં આવ્યું હતું. તાલીમ પૂર્ણ થયા બાદ, તમામ સહભાગી વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહિત કરવા માટે આચાર્યશ્રી અને સ્ટાફ મિત્રોના હસ્તે પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે શાળાના આચાર્યશ્રી, સ્ટાફગણ અને ટ્રેનર ઉપસ્થિત રહ્યા હતા. શાળા પરિવાર દ્વારા જણાવાયું હતું કે, આ પ્રકારની તાલીમથી વિદ્યાર્થીનીઓમાં શારીરિક અને માનસિક મજબૂતી આવશે. પ્રમાણપત્ર મેળવીને વિદ્યાર્થીનીઓએ ભારે ઉત્સાહ દર્શાવ્યો હતો અને આ પ્રશિક્ષણ બદલ શાળા તેમજ ટ્રેનરનો આભાર વ્યક્ત કર્યો હતો.











