વ્યારા: આજના AI યુગમાં મીંઢોળા નદીને બંને કાંઠે વસેલા આદિવાસીઓ પેઢી દર પેઢી પોતાના પૂર્વજોથી પરંપરાગત રીત રીવાજો મુજબ વ્યારા આદિવાસી સાંસ્કૃતિક સર્કલ(ઉનાઈ નાકે) માં આજે ગામદેવની પુંજ વિધિ કરવામાં આવી હતી.
મીંઢોળા નદીને બંને કાંઠે વસેલા આદિવાસીઓ પેઢી દર પેઢી પોતાના પૂર્વજો અને દેવી દેવ ની પૂજા કરતા આવ્યા છે. આદિવાસી સાંસ્કૃતિક એકતા સર્કલનાં દક્ષિણ પશ્ચિમ ભાગમાં સામરો,ઉમરો, ખાટી આમલીઓના અનેક ઝાડ હતાં. ગોવાળ દેવ, ખુહમાઈ માયળે, દિવલી માયળે કાળો કાકાર જેવા અનેક સામુહિક દેવ પૂજાની હરખી લઈને જતાં આદિવાસીઓ માટે આ જગ્યા બળદ ગાડાઓનો ઉતારો હતો.જરૂરી વસ્તુ લેવા માટે થોડા સમય માટે આ જગ્યા પર બળદ ગાડાઓ ઝાડોનાં છાંયડે ઊભા રહેતા. બળદ પાણી પીતા.ગાડામાં લાવેલા બળદના ચારમાંથી થોડો ચારો કાઢી દેવ થાનક પાસે નાખી દેવામાં આવતો. આગળની સફર સુરક્ષિત પાર પડે એવુ દેવ વચન આપે એના માટે પુંજ મૂકતા.
ઉમરાના ઝાડ નીચે દેવ જે થાનક હતું એ આજે કશું નથી.રોડ રસ્તા મોટા થતાં એમને ખસેડી દેવામાં આવ્યા અથવા એના પર મંદિર બનાવી દેવામાં આવ્યા છે. આદિવાસીઓના આસ્થા નાં કેન્દ્ર ગણાતા થાનકે આદિવાસીઓએ પોતાના પૂર્વજો ને યાદ કરી આ સ્થળે આજે દેવ દેવીઓને ઘોડા,ધજા,કણી નો ચઢાવો ચઢાવી, હરાની સાક પાડી ઘૂમટા મૂકી ભગત દ્વારા પૂરા વિધિ વિધાન સાથે સ્થાપિત કરવામાં આવ્યા છે.જેને ભારતના બંધારણમાં અનુચ્છેદ 13 (૩) ક મુજબ સુરક્ષિત કરવામાં આવેલ છે.
આવનારા સમયમાં આ સર્કલ આદિવાસીઓની રૂઢિ પરંપરા,માન્યતાઓ અને આદિવાસી બાહુલ્ય ક્ષેત્રમાં મળેલ અનુસૂચિ 5 વિસ્તારની અલગ ઓળખ અને સાં સ્કૃતિક વિવિધતાનું કેન્દ્ર બની રહેશે. જે ભૂમિ આદિવાસી સમુદાયના પૂર્વજોએ પોતાના લોહી અને પરસેવાથી સીંચી અનેક આક્રમણકારીઓથી સુરક્ષિત રાખી આજદિન સુધી જળ,જમીન,જંગલ ને સુરક્ષિત રાખ્યા એની યાદગીરી આવનારી પેઢીને આપશે.











