નર્મદા: ડેડિયાપાડા, સાગબારા અને ચિકદા તાલુકામાં આદિવાસીઓને ધર્માંતરણ કરાવી ખ્રિસ્તી બનાવી દેવામાં આવે છે. આ વિસ્તારમાં એકપણ ખ્રિસ્તીની નોંધણી ન હોવાથી જેથી નાતાલ પરબની ઉજવણીની મંજૂરી ન આપવામાં આવે એવી માંગ અને આક્ષેપો સાથે રાષ્ટ્રીય આદિવાસી મંથ દ્વારા ડેડિયાપાડા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામા આવ્યું હતું.
આ મુદ્દે ડેડિયાપાડાના ચૈતર વસાવા મેદાનમાં આવ્યા છે એમણે જણાવ્યું છે કે આદિ અનાદિકાળથી જે વસે છે એને આદિવાસી તરીકે ઓળખવામાં આવે છે.આદિવાસી સમાજ ધર્મ પૂર્વી સમાજ છે, મતલબ કે પહેલા આદિવાસી સમાજ હતો પછી બધા ધર્મ આવ્યા. જે તે સમયે 1970-80 ના દાયકામાં આ વિસ્તારોમાં આવેલા ખ્રિસ્તી મશીનરીના લોકોએ શિક્ષણ, આરોગ્ય અને રોજગાર જેવી પ્રવૃત્તિઓમાં લોકોને જોડયા અને લોકોને લાભો આપ્યા.જેનાથી પ્રેરાઈને આદિવાસી સમુદાયના લોકો આજે ખ્રીસ્તી ધર્મ પણ પાળવા લાગ્યા છે.બીજા પણ આદિવાસી લોકો છે જે ખ્રિસ્તી ધર્મ સિવાય બીજા ધર્મો પાળે છે પરંતુ મૂળ એ આદિવાસીઓ છે.
તેમણે વધુમાં કહ્યું કે હું ત્રણ વર્ષથી ધારાસભ્ય છું પરંતુ મને એક પણ વિસ્તારમાંથી ધર્માંતરણની ફરિયાદ મળી નથી. ક્યાં પણ લોભ, લાલચ કે દબાણવશ કોઈ ધર્મ પરિવર્તન કરાવતું હોય એવું મારા ધ્યાનમાં આવ્યું નથી. જો ખ્રિસ્તીઓથી આ સંગઠનોને વધારે દુઃખ પડતું હોય તો એમની પાર્ટીમાં જ ઝઘડિયા વિધાનસભાના રિતેશભાઈ વસાવા અને વ્યારા વિધાનસભાના મોહનભાઈ કોકણી આજે પણ ખ્રિસ્તી ધર્મ પાળે છે છતાં આદિવાસીની અનામત બેઠક પરથી ચૂંટાઈને વિધાનસભામાં પહોંચેલા છે. જો આદિવાસીઓને મળતા લાભોને તેઓ અટકાવવા માંગતા હોય તો એમનાથી જ શરૂઆત એમણે કરવી જોઈએ.











