ધરમપુર: ગુજરાતના વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુનસિંહ મોઢવાડિયાએ આજે વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના માલનપાડા ખાતે આવેલી વિશ્વ પ્રસિદ્ધ સ્નેક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની મુલાકાત લીધી હતી.જ્યાં તેમને વિશ્વ પ્રસિધ્ધ સર્પદંશ નિષ્ણાત ડૉ. ડી. સી. પટેલે મંત્રીશ્રીને ઇન્સ્ટિટ્યૂટમાં રાખવામાં આવેલા વિવિધ ઝેરી સાપો તેમજ તેમના ઝેરમાંથી વૈજ્ઞાનિક પદ્ધતિએ બનાવવામાં આવતા એન્ટી-વેનમ (લાઇફ સેવિંગ દવા) વિશે વિસ્તૃત માહિતી આપી હતી.

DECISION NEWS ને મળેલી વિગતો મુજબ વનમંત્રીએ સાપના ઝેરના નિષ્કર્ષણથી લઈને એન્ટી-વેનમના ઉત્પાદન સુધીની સમગ્ર પ્રક્રિયા નજીકથી જોઈ અને સમજી હતી. ત્યારબાદ મંત્રીશ્રી ડૉ. ડી. સી. પટેલ દ્વારા સંચાલિત સાઈનાથ હોસ્પિટલની પણ મુલાકાત લીધી. અહીં આવેલા સર્પદંશના દર્દીઓને મળી તેમની હાલતની પૂછપરછ કરી અને હોસ્પિટલની સુવિધાઓનું નિરીક્ષણ કર્યું. આ પ્રસંગે અર્જુનભાઈ મોઢવાડિયાએ આદિવાસી વિસ્તારના પરંપરાગત વાદ્ય ‘તારપા’ પોતે વગાડીને સૌને આનંદિત કર્યા હતા. હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓ અને સ્ટાફે પણ મંત્રીશ્રીના આ આગમનથી ઉત્સાહ અનુભવ્યો હતો.

આ સમગ્ર મુલાકાત દરમિયાન ગુજરાતનાં મંત્રી અને ગણદેવી ધારાસભ્ય નરેશ પટેલ, ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલ, યુથલીડર ડો. હેમંત પટેલ અને વન વિભાગના અધિકારીઓ તેમજ સ્થાનિક આગેવાનો અને ભાજપના યુવામિત્રો પણ ઉપસ્થિત રહ્યા હતા.











